Navratri 2025: જામનગરમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. જ્યાં ખાસ આઠમના નોરતાનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે આઠમા નોરતે (29મી સપ્ટેમ્બર) 10 હજારથી વધુ લોકોએ મોબાઈલ ફ્લેશલાઈટનો ઉપયોગ કરીને માતાજીની ડિજિટલ આરતી કરી હતી. આ મહોત્સવ પ્રણામી સ્કૂલ પાસેના પ્રણામી ગ્રાઉન્ડ અને સેટેલાઈટ પાર્કમાં યોજાઈ રહ્યો છે.
નવરાત્રિના આઠમા નોરતાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ પ્રસંગે મા ખોડલની સાત બહેનોની એક વિશેષ ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાત બહેનો ગ્રાઉન્ડમાંથી ચાલીને સ્ટેજ સુધી પહોંચી હતી, જે દ્રશ્યો મા ખોડલ સહિત સાત દેવીઓ ગ્રાઉન્ડમાં ઉતર્યા હોય તેવા ભક્તિમય લાગતા હતા. આરતી દરમિયાન સમગ્ર ગ્રાઉન્ડમાં 10 હજારથી વધુ લોકોએ એકસાથે પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરીને ડિજિટલ આરતીનો અદ્ભુત નજારો સર્જ્યો હતો. આ દ્રશ્ય ખૂબ જ આકર્ષક અને ભક્તિપૂર્ણ હતું. આ નવરાત્રિ મહોત્સવ લેઉવા પટેલ સમાજના યુવાનો, વડીલો અને પરિવારો માટે પારિવારિક માહોલમાં ગરબા રમી શકે તે માટે ખાસ સુવિધાઓ સાથે આયોજિત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મન મોર બની થનગાટ કરે… મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ
ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. આ ભવ્ય આયોજનના ડ્રોન દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા કરવામાં આવેલી ડિજિટલ આરતીનો અનોખો નજારો કેદ થયો હતો.