![]()
– આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા 5 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા
– આરોપીની બેંક ખાતામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 1.34 કરોડના વ્યવહારો મળી આવ્યાં : વિદેશી સંસ્થાઓ સાથેના કનેક્શન મામલે પોલીસ તપાસનો ધમધમાટ
નડિયાદ : નડિયાદમાં ‘રેસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ટ્રસ્ટ’ નામની સંસ્થાના નેજા હેઠળ ચાલતા ગેરકાયદેસર ધર્માતરણના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. હિન્દૂ ધર્મ સેનાના અધ્યક્ષની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચમ પોલીસે આરોપી સ્ટિવન મેકવાન વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય ર્ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપીની ૨૮/૦૯/૨૦૨૫ના રોજ ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા ૦૫/૧૦/૨૦૨૫ સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે અને જે દરમિયાન સ્ફોટક વિગતો સામે આવવાની સંભાવના છે.
આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સ્ટિવન મેકવાનની ફરિયાદી અને અન્ય લોકોને ઇસુના માર્ગે ચાલવા અને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ અને પ્રલોભન આપતો હતો. ગુનાની તપાસમાં પોલીસે વિવિધ દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનો મેળવ્યા છે અને સંસ્થા/ટ્રસ્ટના પ્રમુખ તરીકે સ્ટિવન મેકવાન દ્વારા સંચાલિત રેસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટની સંડોવણી જણાઈ છે. તપાસમાં બાબતની પણ ચકાસણી કરવામાં આવી રહી છે કે આરોપી દ્વારા ધર્માતરણ કરાયેલા લોકો અનુસૂચિત જાતિ/જનજાતિના છે કે કેમ અને ધર્મ પરિવર્તન કરાવવા માટે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં. આ કેસમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે નાણાં પૂરા પાડવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે.
આરોપી સ્ટિવન મેકવાનના બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની વિગતો પણ પોલીસે મેળવી છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧.૩૪ કરોડ રૂપિયાના મોટા વ્યવહારો મળી આવ્યા છે. આ નાણાકીય બાબતો અને વિદેશી સંસ્થાઓ સાથેના કનેક્શન અંગે વધુ તપાસ ચાલુ છે. આરોપીએ આ પ્રવૃત્તિ ગુજરાતના દાહોદ, તાપી, ભરૂચ, આણંદ, અને આદિવાસી વિસ્તારોમાંથી યુવા-યુવતીઓને નડિયાદ લાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ પુરાવાનો નાશ કરવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીને ૫ ઓક્ટોબર સુધીના રીમાન્ડ પર મોકલ્યો છે.
નાણાકીય ગેરરીતિ અને પુરાવાનો નાશ
પોલીસ તપાસમાં આરોપી સ્ટિવન મેકવાનના બેન્ક ખાતામાં છેલ્લા ૩ વર્ષમાં ૧.૩૪ કરોડ રૂપિયાના મોટા નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ જંગી રકમ તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરેથી મળી હોવાની શંકા છે, જેના આધારે ધર્માતરણની પ્રવૃત્તિ ચલાવાતી હતી. આ ઉપરાંત, તપાસ દરમિયાન આરોપીએ ગુનાને લગતા પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેથી આરોપી વિરુદ્ધ આ દિશામાં પણ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વ્યાપક નેટવર્ક અને મોડસ ઓપરેન્ડી
આ કેસમાં આરોપીનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, હરિયાણા, પંજાબ, દિલ્હી . સમગ્ર ભારતમાં તેમજ પાડોશી દેશ નેપાળમાં પણ ફેલાયેલું છે. આ પ્રવૃત્તિઓ માટે જુદા જુદા પ્રદેશોમાંથી નાણાંનું ભંડોળ મળતું હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. પોલીસને સંસ્થાના નાણાકીય દસ્તાવેજો, મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય જરૂરી મુદ્દામાલ કબજે કરી એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.










