![]()
V.S. Hospital in Crisis: અમદાવાદમાં વર્ષ 1931માં દાતાઓના દાનમાંથી શરૂ કરાયેલી અને પ્રતિષ્ઠીત એવી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ચલાવવા ખાતર ચલાવાઈ રહી છે. સંકુલમાં આવેલા જર્જરીત બિલ્ડિંગને તોડવાની કાર્યવાહી વચ્ચે હાલ હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટની ક્ષમતા સાથે સિક્યુરિટી સહીત 800નો સ્ટાફ ફરજ બજાવતો હોવાનું હોસ્પિટલના આર.એમ.ઓ. કૌશિક બેગડાએ કહ્યું છે. તેમણે હોસ્પિટલમાં હાલમા રોજ ઓ.પી.ડી.માં એક હજાર દર્દી આવતા હોવાનો દાવો કર્યો છે. રોજ એક હજાર દર્દી ઓ.પી.ડી.માં આવતા હોય તો કયા કારણથી હોસ્પિટલના સ્ટાફને કોર્પોરેશનની અન્ય હોસ્પિટલમાં રોટેશનથી મોકલવામા આવે છે એ અંગે તેમની પાસે કોઈ જવાબ નહતો.
94 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ માટે ભાજપના સત્તાધીશો દ્વારા વર્ષ 2025-26 માટે 257 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવેલું છે. એક સમયની પ્રતિષ્ઠીત એવી આ હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડને લઈને પણ વગોવાઈ ગઈ છે. વી. એસ. હોસ્પિટલમાં આવેલા 500 બેડ ઘટાડીને 200 બેડ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. આ નિર્ણય પછી મ્યુનિસિપલ કમિશનરે નવમી મે-2025ના રોજ વી.એસ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને તેમને ફાળવવામા આવેલી કોર્પોરેશન સંચાલિત એલ.જી.કે શારદાબેન હોસ્પિટલમાં ત્રણ માસના રોટેશન મુજબ ફરજ બજાવવા મંજૂરી આપી હતી.
વી.એસ.ના મેડીકલ સુપ્રિટેન્ડન્ટની સહીથી 26મી મે 2025ના રોજ ઓફિસ ઓર્ડર કરાયો હતો. જે પછી 20 કર્મચારીઓએ એલ.જી.હોસ્પિટલ તથા 17 કર્મચારીઓને શારદાબેન હોસ્પિટલમાં પહેલી જૂલાઈથી 30મી સપ્ટેમ્બર 2025 સુધી ફરજ ઉપર મોકલાયા હતા. આ કર્મચારીઓ ઉપરાંત અન્ય કર્મચારીઓને રોટેશન ઉપર કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હાજર થવા ઓર્ડર કરાતા તેઓ ઓર્ડર પણ સ્વીકારતા નહીં હોવાની બાબત બહાર આવી છે.
રોટેશન મુજબ હાજર નહીં થનાર સામે કાર્યવાહી કરાશે: ડેપ્યુટી મ્યુનિ.કમિશનર
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ-હોસ્પિટલ) ભરત પરમારે જણાવ્યું હતું કે, ‘વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ કર્મચારીઓને રોટેશન મુજબ એલ.જી. તથા શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવવા ઓર્ડર કરાયા છે. સાતમી ઓકટોબર સુધીમાં તમામે તેમના ઓર્ડરમાં જે હોસ્પિટલનુ નામ હોય ત્યાં ફરજ ઉપર હાજર થવાનુ છે. જે કર્મચારીઓ ફરજ ઉપર હાજર નહીં થાય તેમની સામે સાતમી ઓક્ટોબર પછી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.’










