![]()
પુનમ તા. 6 અને તા. 7ના, શરદપુનમ કાલે સોમવારે ઉજવાશે : તા. 17ના એકાદશી, વાઘ બારસ સાથે દિપાવલિ પર્વ શ્રૂંખલાનો પ્રારંભ : ફરવાના આયોજનો પર છવાયેલા વાદળો વચ્ચે રેલવેમાં રિઝર્વેશન ફૂલ
રાજકોટ, : આ વર્ષે પણ ભારતીય કેલેન્ડર પ્રમાણે એક દિવસે બે-બે તિથિની શરૂઆત સોમવારથી થઈ જાય છે અને તે દિવાળી સુધી ચાલુ રહેશે. આ વર્ષે દિવાળીની તા. 20ના રાતભર રંગેચંગે ઉજવણી બાદ બીજા દિવસે નૂતનવર્ષને બદલે ધોકો અર્થાત્ આરામનો દિવસ રહેશે અને તા. 22ના નૂતન વર્ષ, ગોવર્ધન પૂજા ઉજવાશે તથા તા. 23ના ભાઈબીજ અને ધંધા-વ્યવસાય શરૂ કરવાનું શુભ મુહુર્ત લાભ પાંચમ રવિવારતા. 26ના રહેશે.
સોમવારે તા. 6ના નાળિયેરી પુનમ, શરદ પુનમની ઉજવણી કરાશે અને જ્યાં વાદળો નહીં હોય ત્યાં નયનરમ્ય દિવ્ય ચંદ્રમાના દર્શન થશે. જ્યારે તા. 7ના ક્ષય તિથિ સાથે પુનમ, મહર્ષિ વાલ્મિકી જયંતિ, ડાકોરનો મેળો ,કાર્તિકી સ્નાન સહિતના પર્વો ઉજવાશે.
બે બે તિથિઓ વચ્ચે તા. 19ને રવિવારે કાળી ચૌદશ, તા. 20ના દિવાળી પર્વની ઉજવણી થશે. જ્યારે તા. 21ના કોઈ પર્વ નહીં રહે અને તા. 22થી નૂતન વિક્રમ સંવંતનો આરંભ થશે. દિપાવલી એક દિવસનું પર્વ નહીં પણ પર્વની શ્રૂંખલા છે. જેનો પ્રારંભ શુક્રવાર તા. 17ના એકાદશીના દિવસે થશે અને આ દિવસે વાઘબારસ પણ છે. તા. 18ના ધનતેરસ અને ધન્વંતરી પૂજન થશે. જો કે ફરવા જનારા માટે તો ક્યા દિવસે રજા છે અને કેટલી રજા મુકવાની છે તેનું જ મહત્વ છે. હાલ દેશમાં ભારે વરસાદનું હવામાન છે અને દિવાળી પૂર્વે હવામાન સામે પ્રશ્નાર્થ છે, અનિશ્ચિતતાના વાદળો વચ્ચે પણ રાજકોટથી આવતી-જતી તમામ ટ્રેનોમાં એડવાન્સ બૂકીંગ ફૂલ થઈ ગયું છે










