Jamnagar Cattle Policy : જામનગર શહેરમાં ગેરકાયદે રીતે જાહેરમાં ઘાસ ચારાનું વેચાણ કરવામાં આવે છે, તેવા વિક્રેતાઓ સામે કેટલ પોલિસી અનુસાર આજે ફરી જપ્તીકરણની કાર્યવાહી કરવામાં આવી હતી, અને 500 કિલો જેટલો ઘાસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા બે સપ્તાહથી કવાયત કરવામાં આવી રહી છે. અને કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે.
ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે આજે માત્ર જાહેર રોડ પર ઘાસનું વેચાણ કરનારા 12 વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને 500 કિલોગ્રામ ઘાસ જપ્ત કરી લઇ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે.