Jamnagar Drowning Case : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામ નજીક આજી નદી કાંઠે કેટલાક માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા ગયા હતા, ત્યારે ચાર લોકો અકસ્માતે નદીના પાણીયા ડૂબ્યા હતા. જેમાં બેનો બચાવ થયો છે. જયારે બે વ્યક્તિ ડૂબી જતાં ગઈકાલે એક મૃતદેહને બહાર કાઢ્યો છે, જ્યારે બીજા મૃતદેહની ગઈકાલે મોડી રાત સુધી અને ત્યારબાદ આજ સવારથી શોધખોળ દરમિયાન આજે 11.00 વાગ્યે મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે જોડીયા પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે જોડિયા તાલુકાના જીરાગઢ ગામના પિયુષ દિનેશભાઈ લામકા (11) , પોપટ સોડાભાઈ પડસરિયા (30), ધનાભાઈ રાજાભાઈ બાંભવા (20) રવિ ચનાભાઈ બાંભવા (14) વગેરે આજી નદીના કાંઠે ઢોર ચરાવવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ નદીના પાણીમાં નહાવા માટે પડ્યા હતા. જ્યાં કોઇ પણ કારણોસર નદીના પાણીમાં ડૂબ્યા હતા. જેની ખબર પડતા જ ગામ લોકો અને કાલાવડ ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચ્યો હતો. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં પિયુષ અને પોપટનો બચાવ થયો છે. જ્યારે રવિ અને ધનાભાઇ પાણીમાં ડૂબ્યા હોય તેની શોધખોળ ચલાવાઈ હતી.
આ બનાવ બાદ જોડીયાના પી.એસ.આઇ કે.ડી.જાડેજા અને તેઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેઓની હાજરીમાં રવિ બાંભવાનો મૃતદેહ ગઈ કાલે મળી આવ્યો હતો. જેને જોડિયાની સરકારી હોસ્પિટલમાં લઈ જઇ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જયારે બીજા યુવાન ધનાભાઈ કે જેની મોડી રાત્રી સુધી શોધખોળ ચલાવાઇ હતી પરંતુ તેનો પતો સાંપડ્યો ન હતો. દરમિયાન આજે સવારે ફરીથી ફાયરની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, અને અગિયારેક વાગ્યાના અરસામાં તેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. પીએસઆઇ કે.ડી.જાડેજા અને તેઓની ટીમેં બીજા મૃતદેહનો પણ કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને જીરાગઢ ગામમાં અને ખાસ કરીને માલધારી પરિવારમાં ભારે કરુણતા છવાઈ છે.