![]()
New Cabinet of Gujarat: ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ ગુરુવાર, 16 ઓક્ટોબરના રોજ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. ત્યારબાદ આજે સવારે 11:30 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના શપથગ્રહણનો કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. તેવામાં આજે ગુરુવારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ સાથેની બેઠક મુલતવી રખાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
કેવું હોઈ શકે છે મંત્રીમંડળ?
ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યો છે અને મંત્રીમંડળમાં અત્યાર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રી સામેલ હતા. જેમાં 8 કેબિનેટ કક્ષાના અને 8 રાજ્ય મંત્રી હતા. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં બંધારણીય નિયમ મુજબ મહત્તમ 27 મંત્રીઓ હોઈ શકે છે. ત્યારે હવે એવી શક્યતાઓ છે કે, નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 27 મંત્રી હોઈ શકે છે. જે ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સામેલ કરાશે, તેમને ફોનના માધ્યમથી માહિતી આપી દેવાઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોના અનુસાર, સૂત્રોના અનુસાર, અગાઉ 75 ટકા મંત્રીઓની બાદબાકી થવાની શક્યતાઓ હતી. પરંતુ હવે અનેક જૂના મંત્રીઓને ફરી તક મળવાની સંભાવના છે. જૂનાને રિપીટ કરીને નવા સાથે સમાવવા આવે તો મંત્રીમંડળનું કદ વધે તેવી શક્યતા છે. 10 જેટલા નવા મંત્રીઓને સ્થાન મળે તેવી શક્યતાઓ છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં કોંગ્રેસથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ચૂંટણી પહેલા સરકારમાં મોટા ફેરફાર!
આ પગલું ગુજરાતમાં આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ સાથે આ મોટો ફેરફાર ભાજપ હાઈકમાન્ડ રાજ્યમાં સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ અને પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે કરી રહ્યું છે.
જણાવી દઈએ કે, જૂના મંત્રીઓએ સરકારી કાર પરત જમા કરાવી દીધી છે. નવા મંત્રીઓ માટે કેબિનોમાં સાફસફાઈ અને રંગરોગાન પણ કરી દેવાયા છે. આ સિવાય નવા મંત્રીઓ માટે PA અને PSની નિમણૂકો પણ કરી દેવાઈ છે.
કયા નવા ચહેરાઓને તક મળી શકે?
જીતુ વાઘાણી
અર્જુન મોઢવાડિયા
ડૉ. પ્રદ્યુમન
નરેશ પટેલ
રિવાબા જાડેજા
અલ્પેશ ઠાકોર
પ્રવીણ માળી
અનિરુદ્ધ દવે/ અમિત ઠાકોર
રમેશ સોલંકી
ઉદય કાનગઢ
જયરામ ગાવિત
પી.સી.બરંડા
કાંતિ અમૃતિયા
દર્શના વાઘેલા
જાણો કોના રિપીટ થવાની શક્યતા?
ઋષિકેશ પટેલ
કનુ દેસાઈ
કુંવરજી બાવળિયા
બલવંત સિંહ રાજપૂત
હર્ષ સંઘવી
પ્રફુલ્લ પાનસેરિયા










