![]()
Railway Platform Ticket: દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા જાળવવા માટે બંને સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ નિયમ આજથી (17 ઑક્ટોબર) 27 ઑક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે.
ભીડ નિયંત્રણ માટે તાત્કાલિક પગલું
મળતી માહિતી અનુસાર, તહેવારોને લઈને ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ રહેવાની સંભાવના છે. આ પરિસ્થિતિમાં સ્ટેશન પરિસરમાં બિનજરૂરી ભીડને ટાળવા, મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સ્ટેશન પરની અવરજવરને સુચારુ બનાવવા માટે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવું જરૂરી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની યાત્રાને વધુ સુરક્ષિત અને સુખદ બનાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ નિર્ણય મુસાફરોની સુવિધા અને સુચારુ અવરજવર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલ એક આયોજનબદ્ધ પગલું છે.
રેલવે પ્રશાસને મુસાફરો અને નાગરિકોને અપીલ કરી છે કે આ નિયમ અવધિ દરમિયાન તેઓ સ્ટેશન પર અનાવશ્યક ભીડથી બચે અને માત્ર યાત્રા સંબંધિત કાર્યો માટે જ સ્ટેશન પર ઉપસ્થિત રહે. આ સહયોગ દ્વારા સૌ માટે સુરક્ષિત અને સુવિધાજનક યાત્રાનું વાતાવરણ જાળવી શકાશે.










