![]()
મુંબઈ : સંવત ૨૦૮૧ ભારતીય શેર બજારો માટે શરૂઆતમાં પડકારરૂપ અને અપેક્ષિત કરેકશન બતાવ્યા બાદ વૈશ્વિક પડકારો વચ્ચે અંતિમ મહિનાઓમાં રિકવરી આપીને સંવત ૨૦૮૨ માટે તેજીનો સંકેત આપીને વિદાય લઈ રહ્યું છે. વૈશ્વિક પડકારો રશીયા-યુક્રેન યુદ્વ, ઈઝરાયેલ-હમાસ યુદ્વને લઈ જીઓપોલિટીકલ ટેન્શનનું વર્ષ રહ્યા બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થતાં અમેરિકા ફર્સ્ટના ચૂંટણી વચનોને લઈ ટ્રમ્પે વિશ્વને ટ્રેડ યુદ્વમાં ધકેલી દઈ લાંબો સમય અનિશ્ચિતતા સાથે ઉથલપાથલના દોરમાં રાખી વિશ્વને ચિંતામાં મૂકી દીધું હતું. વૈશ્વિક બજારોમાં સંવત ૨૦૮૧માં એસેટ ક્લાસ બદલાઈ શેરોથી વિશેષ બુલિયન-સોના, ચાંદીમાં જોવાયેલી રેકોર્ડ બ્રેક તેજીએ રોકાણકારોને ઊંચુ વળતર અપાવ્યું છે. સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી બાદ સપ્તાહના અંતે જોવાઈ રહેલી કરેકશન સાથે ઉથલપાથલને જોતાં આગામી દિવસોમાં વિશ્વ બજારમાં ઈક્વિટી અને બુલિયનમાં મોટી અફડાતફડી જોવાશે એ નક્કી છે. જેથી વૈશ્વિક ડેવલપમેન્ટ ખાસ રશીયા મામલે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની સંભવિત વાટાઘાટ પર ખાસ નજર રહેશે. વૈશ્વિક ડેવલપમેન્ટ સાથે સ્થાનિક પરિબળોને લઈ આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૬૦૦૦ ઉપર બંધ થતાં ૨૬૨૨૨ અને સેન્સેક્સ ૮૪૭૭૭ ઉપર બંધ થતા ૮૫૬૬૬ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : GODREJ PROPERTIES LTD.
એનએસઈ (GODREJPROP), બીએસઈ(૫૩૩૧૫૦) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડ(GODREJ PROPERTIES LIMITED) એ ગોદરેજ ગુ્રપની રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ એકમ છે. જેની શરૂઆત ૧૮૯૭માં થઈ હતી અને આજે કંપની ભારતના સૌથી સફળ સમૂહોમાં એક છે. ગોદરેજ પ્રોપર્ટીઝ, રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં નવીનતા, ટકાઉપણું અને શ્રેષ્ઠતાની ગોદરેજ ગુ્રપ ફિલોસોફી લાવે છે. કંપની પાસે તેની મજબૂત નાણાકીય સ્થિતિ અને ગોદરેજ ગુ્રપનો ભાગ બનવા બદલ કંપનીની ગુડવિલને કારણે આ ક્ષેત્રમાં સૌથી નીચા બેંક ફંડિંગ ખર્ચ વાર્ષિક ૫.૯૫ ટકા છે. ગ્લોબલ રિયલ એસ્ટેટ સસ્ટેનેબિલિટી બેન્ચમાર્ક, (જીઆરઈએસબી) દ્વારા તેની ઈએસજી પ્રેક્ટિસ માટે ગોદરેજ પ્રોપર્ટીઝ વૈશ્વિક રેસીડેન્શિયલ ડેવલપર્સમાં પ્રથમ ક્રમાંકે છે.
ગોદરેજ પ્રોપર્ટીઝ ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગુ્રપના નવીનતા-ઈન્નોવેશન, સસ્ટેનેબિલિટી-ટકાઉપણું અને શ્રેષ્ઠતાની ફિલસૂફીને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં લાવે છે. દરેક ગોદરેજ પ્રોપર્ટી ડેવલપમેન્ટ ઉત્કૃષ્ટતા અને વિશ્વાસના ૧૨૮ વર્ષના વારસાને કિંગ-એજ ડિઝાઈન, ટેકનોલોજી અને ટકાઉપણા પ્રત્યે પ્રતિબદ્વતા સાથે જોડે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં ગોદરેજ પ્રોપર્ટીઝે રહેણાક વેચાણ મૂલ્યની રીતે ભારતના સોૈથી મોટા ડેવલપર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કંપની સસ્ટેનેબિલીટી ડેવલપમેન્ટ પર ઊંડાણપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે. વર્ષ ૨૦૧૦માં કંપનીએ પ્રતિબદ્વતા વ્યક્ત કરી કે તેના તમામ ડેવલપમેન્ટ થર્ડ પાર્ટી સર્ટિફાઈડ ગ્રીન બિલ્ડિંગો હશે. વર્ષ ૨૦૨૦માં અને ફરી ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૫માં ગ્લોબલ રિયલ એસ્ટેટ સસ્ટેનેબિલિટી બેન્ચમાર્કે તેની ટકાઉપણું અને ગવર્નન્સ પ્રેકટાઈસીઝ માટે લિસ્ટેડ રેસીડેન્શિયલ ડેવલપર્સમાં કંપનીને વૈશ્વિક સ્તરે નંબર વન આપ્યો હતો. વર્ષ ૨૦૧૭માં કંપની સસ્ટેનેબલ હાઉસીંગ લીડરશીપ કોન્સોર્શિયમ (એસએચએલસી)ના સ્થાપક ભાગીદારોમાં એક હતી, જેનું મિશન ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રેકટાઈસીઝને વિસ્તારવાનું છે. તાજેતરના વર્ષોમાં ગોદરેજ પ્રોપર્ટીઝને ૪૦૦થી વધુ એવોર્ડ અને માન્યતાઓ પ્રાપ્ત થઈ છે, જેમાં જીઆરઆઈ ઈન્ડિયા એવોર્ડસ, ૨૦૨૪માં ડેવલપર ઓફ ધ યર, ૨૦૧૯માં પોર્ટર પ્રાઈઝ, ૨૦૧૯ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટમાં ધ મોસ્ટ ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ બ્રાન્ડ, સીએનબીસી-આવાઝમાં બિલ્ડર ઓફ ધ યરનો સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ એવોર્ડસ ૨૦૧૯ અને ધ ઈકોનોમિક ટાઈમ્સ બેસ્ટ રિયલ એસ્ટેટ બ્રાન્ડ ૨૦૧૮નો સમાવેશ છે.
ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે નાણા વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન ૫૦ ટકાનો પ્રીસેલ્સ સીએજીઆર હાંસલ કર્યો છે અનને તેના તમામ હરીફોને પાછળ મૂકી દીધા છે. જો કે ઉચ્ચ બેઝ ઈફેક્ટને કારણે તેના પ્રીસેલ્સ નાણા વર્ષ ૨૦૨૫થી ૨૦૨૭ દરમિયાન ૮ ટકા સીએજીઆર સુધી પહોંચવાનો અંદાજ છે. તાજેતરમાં કંપનીએ ક્યુઆઈપી થકી રૂ.૬૦૦૦ કરોડ એકત્ર કર્યા છે અને એનસીડી દ્વારા વધુ રૂ.૨૦૦૦ કરોડ એકત્ર કરવા તૈયાર છે. જેથી તેની આક્રમક બિઝનેસ ડેવલપમેન્ટ પ્રવૃતિઓ અને શરૂઆતમાં દેવા ઘટાડાને સપોર્ટ મળશે. નાણા વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિકના અંત ુધીમાં કંપનીનો નેટ ડેટ ટુ ઈબીટા રેશિયો ૦.૧૯ મલ્ટિપલ અને નેટ ડેટ રૂ.૩૩૦૦ કરોડ હતા. કંપની મજબૂત બ્રાન્ડ ઈક્વિટી અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ ઓફરિંગ સાથે સમયસર ડિલિવરીનો ટ્રેક રેકોર્ડ સાથે તેના તમામ બજારોમાં ટોચની ખેલાડી બનવાનું લક્ષ્ય રાખે છે. નાણા વર્ષ ૨૦૨૫થી ૨૦૨૭ દરમિયાન કંપનીને રૂ.૨૨૯૦૦ કરોડનો એક્ત્રિત રોકડ પ્રવાહ ઉપાર્જિત કરવાનો અંદાજ છે.
બિઝનેસ ડેવલપમેન્ટને આક્રમકતા આપવા મજબૂત રોકડ પ્રવાહ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોજેક્ટોની સંપૂર્ણ માલિકી તરફ કંપનીના વ્યુહાત્મક વલણના પરિણામો મળવા લાગ્યા છે. નાણા વર્ષ ૨૦૨૫માં કંપનીએ ઓસીએફમાં ૭૩ ટકા વાર્ષિક વૃદ્વિ નોંધાવી, જે રૂ.૭૩૦૦ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. જમીન સંપાદન પર નોંધપાત્ર ખર્ચ રૂ.૯૦૦૦ કરોડ હોવા છતાં, કંપનીનું ચોખ્ખું દેવું નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૬૨૦૦ કરોડ હતું, એ ઘટને રૂ.૩૩૦૦ કરોડ થયું. જેના કારણે રૂ.૬૦૦૦ કરોડની ક્યુઆઈબી આવક દ્વારા ડેટ ટુ ઈક્વિટી રેશિયો ૦.૧૯ મલ્ટિપલ થયો છે. જેમીનમાં આ વ્યુહાત્મક રોકાણ કંપનીની ડેવલપમેન્ટ પાઈપલાઈનને વિસ્તૃત કરવાની પ્રતિબદ્વતા દર્શાવે છે, જ્યારે દેવું વ્યવસ્થાપિત સ્તરે રાખવામાં આવ્યું હતું. નાણા વર્ષ ૨૦૨૨-૨૪ દરમિયાન કંપનીએ કુલ ૫૫૦ લાખ ચોરસ ફૂટ વેચાણપાત્ર વિસ્તાર અને રૂ.૬૦૦૦૦ કરોડની આવકની સંભાવના ધરાવતા પ્રોજેક્ટો સાઈન કર્યા છે. નાણા વર્ષ ૨૦૨૫માં કંપનીએ રૂ.૨૬,૪૦૦ કરોડના અંદાજીત જીડીવી સાથે ૧૪ નવા પ્રોજેક્ટો સાઈન કર્યા હતા, જે નાણા વર્ષ ૨૦૨૫ના ગાઈડન્સના ૧૩૨ ટકા છે. ડેવલપમેન્ટ પાઈપલાઈનમાં આ વિસ્તરણ કંપનનીની તકો ઓળખવાની અને તેની વૃદ્વિ વ્યુહરચના અમલમાં મૂકવાની સતત ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. નાણા વર્ષ ૨૦૨૫-૨૭ દરમિયાન તેનું કલેકશન ૨૩ ટકા સીએજીઆર પર રૂ.૨૮,૪૦૦ કરોડ થવાનો અંદાજ છે, જેના કારણે નાણા વર્ષ ૨૦૨૭માં અંદાજીત ઓપરેટિંગ રોકડ પ્રવાહ રૂ.૮૦૦૦ કરોડનો રહશે. રોકડ પ્રવાહમાં આ વધારો બિઝનેસ ડેવલપમેન્ટ પર વધુ ખર્ચને ટેકો આપવા ઉપરાંત કંપનીને નાણા વર્ષ ૨૦૨૬થી શરૂ થતા સરપ્લસ રોકડ પ્રવાહ સર્જવા સક્ષમ બનાવશે. આ સરપ્લસ કંપનીને તેના વિકાસના પ્રયાસોમાં ફરીથી રોકાણ કરવા માટે વધુ સુગમતા પ્રદાન કરશે, જેનાથી તેની લાંબાગાળાની નાણાકીય સ્થિરતા વધશે.
ક્યુઆઈપીથી દેવામાં ઘટાડો થવાનો અંદાજ : નાણા વર્ષ ૨૦૨૬માં નેટ કેશ કંપની બનવાની શકયતા સાથે નાણા વર્ષ ૨૦૨૫માં ચોખ્ખું દેવું રૂ.૩૩૦૦ કરોડ હતું, નેટ ડેટ ટુ ઈક્વિટી ૦.૧૯ મલ્ટિપલ હતો. નાણાકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીએ ક્યુઆઈપી ( ૨૩૦ લાખ શેરો શેર દીઠ રૂ.૨૫૯૫ ભાવે ) કરી રૂ.૬૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા, જેનો ઉપયોગ દેવું ઘટાડવા માટે કરવામાં આવ્યો હતો. ત્રીજા ત્રિમાસિક નાણા વર્ષ ૨૦૨૫ના અંતે ચોખ્ખું દેવું રૂ.૩૮૦૦ કરોડ હતું, ડેટ ટુ ઈક્વિટી ૦.૨૩ મલ્ટિપલ પર હતો. ચોથા ત્રિમાસિક નાણા વર્ષ ૨૦૨૫માં બોર્ડે પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ/બોન્ડસ/ડેટ સિક્યુરિટીઝ દ્વારા રૂ.૨૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી હતી. કેશ ફ્લો વધવાની અપેક્ષા સાથે કંપની નાણા વર્ષ ૨૦૨૬માં નેટ કેશ બનવાની ધારણા છે. નેટ કેશ સરપ્લસ નાણા વર્ષ ૨૦૨૭માં રૂ.૯૮૦૦ કરોડ થવાની સંભાવના છે.
મૂલ્યાંકન અને દ્રષ્ટિકોણ : કંપનીએ નાણા વર્ષ ૨૦૨૫માં પ્રિ-સેલ્સના ઓપરેશનલ પરિમાણો અને રોકડ પ્રવાહમાં મજબૂત પ્રદર્શન સાથે પૂર્ણ કર્યું છે. મજબૂત લોન્ચ પાઈપલાઈન સાથે, કંપની તેના ઓપરેશનલ લક્ષ્યોને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે. જ્યારે પી એન્ડ એલમાં માન્ય પ્રોજેક્ટો માટે ગ્રોસ માર્જિન ૩૫-૪૦ ટકા પર સ્વસ્થ રહ્યું છે, ત્યારે કામગીરીના ઉંચા સ્કેલને કારણે પ્રમાણસર રીતે ઊંચા ઓવરહેડ વધારો થયો છે, જેના કારણે ઓપરેટિંગ નફામાં ઘટાડો થયો છે. અપેક્ષા છે કે, છેલ્લા બે વર્ષમાં બુક કરાયેલા વેચાણ, જે વધુ સારા માર્જિન પ્રોફાઈલ અને સંપૂર્ણ માલિકી દ્વારા વર્ગીકૃત થયેલ છે, નાણા વર્ષ ૨૦૨૬-૨૭ પછી માન્ય થશે, ે રોકાણકારોની ચિંતા દૂર કરશે. માનવું છે કે, કંપની તેની મજબૂત પાઈપલાઈન અને સ્વસ્થ પ્રાપ્તિઓને કારણે વૃદ્વિ, રોકડ પ્રવાહ અને માર્જિન પર આશ્ચર્ય આપવાનું ચાલુ રાખશે, જે રોકાણકારો માટે મુખ્ય ચિંતાઓ રહી છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૬૨ ટકા વધીને રૂ.૪૯૨૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો ૮૫ ટકા વધીને રૂ.૧૩૮૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૯.૦૧, બુક વેલ્યુ રૂ.૫૭૫ નોંધાવી હતી
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
ચોખ્ખી આવક રૂ.૫૪૦૦ કરોડ મેળવીને અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૧૦૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૫ અને બુક વેલ્યુ રૂ.૬૫૦ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડ, નાણા વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪માં ૫૦ ટકા મજબૂત પ્રીસેલ સીએજીઆર નોંધાવનાર, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૭૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૫૦ સામે રૂ.૫ પેઈડ-અપ શેર રૂ.૨૨૫૩ ભાવે ૩૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.
શેરબજારોમાં મૂહુર્ત ટ્રેડિંગ સત્ર ૨૧, ઓકટો.ના બપોરે યોજાશે
દેશના અગ્રણી શેર બજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) દ્વારા આ વખતે સંવત ૨૦૮૨નાશુભારંભના દિવાળીના અવસરે ૨૧, ઓકટોબર ૨૦૨૫ના રોજ ખાસ મૂહુર્ત ટ્રેડિંગ સત્ર બપોરે યોજવામાં આવશે.
બીએસઈ અને એનએસઈમાં મૂહુર્ત ટ્રેડિંગ સત્ર ૨૧, ઓકટોબર ૨૦૨૫ના દિવાળીના દિવસે બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યા સુધી યોજાશે. સામાન્ય રીતે દર વર્ષે દિવાળીના દિવસે શેર બજારો અનેએસઈ અને બીએસઈ સાંજના સમયે મૂહુર્ત ટ્રેડિંગ સત્ર યોજતા હોય છે.જે આ વખતે બદલીને એનએસઈએ બપોરે યોજવાનું નક્કી કરાયું છે.આ સત્રનું સેટલમેન્ટ રાબેતા મુજબના ટ્રેડિંગ કલાકોની જેમ જ થશે.
આ વખતે મૂહુર્ત ટ્રેડિંગ સત્ર મામલે ઘણા લોકોને સમય અને દિવસ બાબતે મૂંઝવણ સાથે સવાલ થઈ રહ્યા છે. ચંદ્ર કેલેન્ડરની અમાવસ્યા તિથિ, અથવા અમાવસ્યાનો તબક્કો, તકનીકી રીતે ૨૧, ઓકટોબર સુધી લંબાય છે. જેથી દલાલ સ્ટ્રીટ પર મૂહુર્ત ટ્રેડિંગ સત્ર આ વર્ષે મૂહુર્ત સત્ર ૨૧, ઓકટોબરના રોજ બપોરે થશે, જે પાછલા વર્ષોમાં સામાન્ય રીતે સાંજે યોજાતું આવ્યું છે. ૨૨, ઓકટોબરના રોજ શેર બજારો નૂતન વર્ષાભિનંદન નિમિતે બંધ રહેશે. સોમવારે ૨૦, ઓકટોબરના શેર બજારોમાં રાબેતા મુજબ ટ્રેડિંગ ચાલુ રહેશે.









