![]()
– ઓગષ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન
– જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ વગેરે જિલ્લાના 18 તાલુકાના 800 ગામમાં સર્વે કરાયો હતો
ભાવનગર : ઓગષ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવા માટે રૂા. ૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ છે.
ઓગષ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદને કારણે જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જીલ્લા વહીવટીતંત્ર તરફથી ૫ જીલ્લાના ૧૮ તાલુકાઓના ૮૦૦ ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળેલ છે. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયેલ છે.
રાજ્ય સરકાર તરફથી આ ૫ જિલ્લાઓના ૧૮ તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના માટે એસડીઆરએફની જોગવાઈ મુજબ રૂા. ૫૬૩ કરોડ અને રાજય સરકાર દ્વારા રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂા.૩૮૪ કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂા. ૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા નિર્ણય કરેલ છે તેમ રાજ્યના કૃષિ મંત્રીએ ભાવનગર ખાતે પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતું.
ભાવનગર જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ નહીં મળે
ભાવનગર જિલ્લાના મહુવા, ભાલ, સિહોર વગેરે પંથકમાં ભારે વરસાદ પડયો હતો, જેના કારણે પાક નુકશાન થયુ હોવાનુ ખેડૂતોમાં ચર્ચાય રહ્યુ છે પરંતુ રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે તેનો લાભ ભાવનગર જિલ્લાના ખેડૂતોને મળશે નહીં. રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજમાં માત્ર પ જિલ્લાનો જ સમાવેશ કર્યો છે તેથી ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.










