![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ મહત્તમ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ મળે અને ઉદ્યોગો સાથે જોડાણ વધારી શકાય તે માટે દરેક ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપ કો ઓર્ડિનેટરની નિમણૂક કરવાનું નક્કી કર્યુ છે.તેની સાથે સાથે ઉદ્યોગો પાસેથી જાણકારી મેળવીને ઉદ્યોગોની જરુરિયાત પ્રમાણેના સ્કિલ એન્હેન્સમેન્ટ કોર્સ પણ શરુ કરવામાં આવશે.જેથી વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીઝની જરુરિયાત પ્રમાણેનું શિક્ષણ આપી શકાય.
ગત સપ્તાહે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર પ્રો.ભણગે, રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા અને બીજા અધિકારીઓ તેમજ ફેકલ્ટી ડીન્સની હાજરીમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં ઉદ્યોગો પાસેથી મળેલા પ્રતિભાવો બાદ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યા છે.સત્તાધીશોનું કહેવું છે કે, મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ નોકરી કરવા માટે ઉદ્યોગોમાં જાય છે ત્યારે તેમને ફરી ટ્રેનિંગ આપવી પડે છે.જેના કારણે ઉદ્યોગોનો સમય પણ જાય છે અને ટ્રેનિંગ પ્રોગ્રામ પાછળ ખર્ચ પણ કરવો પડે છે.જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ ઉદ્યોગની જરુરિયાત પ્રમાણે તાલીમ આપવી જોઈએ.આ માટે મહત્તમ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ કરી શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે.ઈન્ટર્નશિપનો સમય કેટલો હશે તે નક્કી કરવા એક એસઓપી બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.ઈન્ટર્નશિપ પૂરી થયા બાદ વિદ્યાર્થીઓની કામગીરીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.










