![]()
સમગ્ર દેશભરમાં છઠ પૂજાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. વડોદરા શહેરમાં ઉત્તર ભારતીયો દ્વારા નદીકાંઠા, વિવિધ તળાવ અને વિસ્તારોમાં પરિવારજનો સાથે પૂજા અર્ચના કરી છઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે.
શહેરમાં બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢના લોકોએ ભક્તિભાવ પૂર્વક છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની વિધિપૂર્વક પૂજા કરી હતી. સોમવારે સાંજે વ્રતધારી મહિલાઓ નદી અને તળાવોમાં કમરસુધીના પાણીમાં ઉભા રહી આથમતા સૂર્યદેવની આરાધના કરી હતી. ફાજલપુર ખાતે છઠ પૂજામાં અંદાજે ૪૦ હજાર જેટલા ભક્તો ઉમટી પડ્યા હતા. કોટણા ખાતે પણ આશરે ૧૦ હજારથી વધુ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક છઠ પર્વની ઉજવણી કરી હતી. આ ઉપરાંત બાપોદ, હરણી, કપુરાઈ સહિતના તળાવો અને નદીકાંઠાઓ પર પણ છઠ પૂજાનું આયોજન કરાયું હતું. ભક્તો સરળતાથી અર્ધ્ય આપી શકે તે માટે વિશેષ કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે મહીસાગર નદી કાંઠે બોટ અને તરવૈયાની વ્યવસ્થા સાથે પૂરતી લાઇટિંગ અને પોલીસ સંકલનમાં સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા હતા. વાતાવરણ પલટાતા આયોજકો અને ભક્તો ચિંતિત થયા હતા પણ વરસાદે વિરામ લેતા શ્રદ્ધાભાવે છઠ પર્વ ઉજવ્યું હતું. મંગળવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા બાદ વ્રતનું સમાપન થશે. શહેરમાં આજે એક લાખ શ્રધ્ધાળુઓએ છઠ પૂજા કરી હતી.
વરસાદના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા
છઠ પૂજા નિમિત્તે ફાજલપુર, કોટણા સહિતના સ્થળોએ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તેમજ શ્રદ્ધાળુઓ રોકાણ કરી શકે તેવી વ્યવસ્થા પણ હતી. પરંતુ, રાત્રે વરસાદે ધબડાટી બોલાવતા શ્રદ્ધાળુ અને આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા. અને મોટાભાગના સ્થળોએ કાર્યક્રમો રદ કરવાની નોબત આવી હતી.










