![]()
વડોદરા, તા.30
દેશ આઝાદ થયા બાદ દેશને અખંડ ભારત બનાવનાર ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે અખંડ ભારતના નિર્માણ માટે પોતાને નહી પરંતુ રાજવીઓને શ્રેય આપ્યું હતું. વડોદરા સ્ટેટના મહારાજાના ખાસ આમંત્રણથી વડોદરામાં આવેલા સરદાર વલ્લભભાઇએ રાજમહેલ ખાતેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્વતંત્રતાનું મહા ભગીરથ પરિવર્તન ના આવ્યું હોત તો ભારત ટૂકડાઓમાં વહેંચાઇ ગયું હોત.
દેશ આઝાદ થયા બાદ વડોદરા રાજ્યના પ્રથમ વખત મહેમાન બનેલા ડેપ્યૂટી વડાપ્રધાન તેમજ લોખંડી પુરુષે કહ્યું હતું કે વડોદરાના મહારાજાએ ભારતને એક તાંતણે બાંધવાનું શ્રેય મને આપ્યું છે તે તેમની ઉદારતા છે પરંતુ રાજવી પરિવારોની દેશભક્તિ અને ફરજ પરસ્તિના કારણે આપણે દેશને કટોકટીના સમયે અખંડ બનાવી શક્યા છે. તેમણે કહ્યું હતું કે રાજવીઓએ ત્યાગભાવના અને દેશભક્તિ બતાવી તેના કારણે આ સિધ્ધિ મળી છે. તેમણે ભારતના ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપવા માટે વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ અને રાજકુંવરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
સરદારે કહ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા છે જેમાં દેશના તમામ રાજવીઓનું સમર્થન મળ્યું છે, હું રાજવીઓના ત્યાગની પ્રસંશા કરું છુ તેની ઘણા લોકો ટીકા કરે છે. દેશની સમસ્યાઓના નિવારણ માટે ત્યાગ કર્યો છે પરંતુ તેમની હું નિંદા કરું તો દેશ માટે જીવવાને લાયક નથી. તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે રાજવીઓએ જે કામ કર્યુ છે તે સુવર્ણાક્ષરે લખવા જેવું છે. રાજપાઠ છોડી દેવો તે કેટલો મોટો ત્યાગ છે તે જે છોડે તે જ સમજી શકે છે.
રાજમહેલમાં બપોરનું ભોજન લેવાના પ્રસંગે તેમણે કહ્યું હતું કે જગતનું સ્વરૃપ ભવિષ્યમાં કેવું હશે તેની ભવિષ્યવાણી કરવી અઘરી છે પરંતુ ભારતનું ભવિષ્ય કેવું હશે તે ચિત્ર હંમેશા નજર સમક્ષ રાખવું જોઇએ. આપણે ભારતના ભવિષ્યનો વિચાર નહી કરીએ તો રાજવીઓએ ત્યાગ કર્યો છે તેના માટે સલામતી રહેશે નહી. આપણા દેશની સુરક્ષા માટે આપણે જ સાવચેતી રાખી રક્ષક બનવું પડશે. ભારત સંઘમાં જોડાવાની વાત રાજવીઓએ ના સ્વીકારી હોત તો ચીન જેવા નાગરિક સંઘર્ષો ભારતમાં સર્જાત.
રાજમહેલના ભોજન સમારંભમાં
મહારાજાએ કહ્યુ હતું આપણે ગ્રેટ ગુજરાતી નહી, ગ્રેટર ઇન્ડિયન છીએ
તા.૨૧ જાન્યુઆરી ૧૯૪૯ શુક્રવારના રોજ નાયબ વડાપ્રધાન વલ્લભભાઇ પટેલ વડોદરાના રાજમહેલમાં આવ્યા હતાં. આ પ્રસંગે વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે બપોરે ભવ્ય ભોજનનું આયોજન કર્યું હતું.
પ્રતાપસિંહે તે વખતે કહ્યું હતું કે વલ્લભભાઇ પટેલ સરકાર બન્યા બાદ પ્રથમ વખત મારા આમંત્રણને માન આપી વડોદરા રાજ્યના પાટનગર વડોદરા શહેરમાં આવ્યા છે તેમનો હુ હૃદયપૂર્વક આભારી છું. તેઓ બે દિવસ વડોદરામાં રોકાયા તે ગૌરવની વાત છે. મહારાજાએ ગુજરાતને ગૌરવ અપાવનારા નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી તેમજ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આપણે ગ્રેટ ગુજરાતી નથી પરંતુ ગ્રેટર ઇન્ડિયન છે.
વડોદરાના રાજમહેલમાં સરદાર વલ્લભભાઇના માનમાં યોજાયેલા ભોજન સમારંભમાં વલ્લભભાઇના પુત્રી મણીબેન પણ ખાસ હાજર રહ્યા હતાં. વલ્લભભાઇ વડોદરા આવ્યા ત્યારે ગુજરાતમાં દુકાળની સ્થિતિ હતી તે સમયે મહારાજાએ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અખંડ ભારત માટે વડોદરાના મહારાજાએ પહેલ કરી હતી ઃ વલ્લભભાઇ
સરદાર વલ્લભભાઇ પટેલ નાયબ વડાપ્રધાન બન્યા બાદ વડોદરાની મુલાકાતે પ્રથમ વખત આવી વડોદરાના મહારાજાના મહેમાન બન્યા હતાં.
રાજમહેલમાં લંચ દરમિયાન આયોજિત સમારંભમાં વલ્લભભાઇએ વડોદરાના મહારાજાના ભરપેટ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે અન્ય રાજવીઓ વિમાસણ અનુભવતા હતા ત્યારે વડોદરા મહારાજા સાહેબે અખંડ ભારત નિર્માણ માટે પ્રથમ રાજવી તરીકે પહેલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભૂખમરાના કારણે એક પણ વ્યક્તિનું મોત થાય તો ગુજરાતીઓ માટે તેમજ મારા માટે શરમની વાત છે.
દયાનંદ સરસ્વતી, નરસિંહ મહેતા, ગાંધીજીનો હું શિસ્તબધ્ધ સૈનિક છું
વડોદરામાં તે સમયે નાયબ વડાપ્રધાન વલ્લભભાઇ પટેલે કહ્યું હતું કે નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી તેમજ મહાત્મા ગાંધી રત્નો છે. મહાત્મા ગાંધીના કારણે આપણને સ્વતંત્રતા મળી છે હંર આ મહાનુંભાવોને નમ્ર અનુકરણ કરવાનો અને શિસ્તબધ્ધ સૈનિક રહ્યો છું.
આ મહાનુંભાવોનો લાભ સતત ભારતને મળતો રહે તે માટે હું સતત પ્રયાસરૃપ છું આ લોકોની સાથે મેં કોઇ મહાન કામ કર્યુ નથી, હું વિનમ્રતા સાથે કહું છું કે મારી મર્યાદાઓને હમેશા યાદ રાખું છું. મારો નમ્ર પ્રયાસ એવો છે કે મહાત્માજીના કારણે ભારતને જે સ્વતંત્રતા મળી છે તેનું કોઇપણ સંજોગોમાં પત્ન ના થાય તેવો મારો પ્રયત્ન છે.










