![]()
વડોદરા,તા.2 વડોદરા જિલ્લામાં તાલુકા કક્ષાએ આજે બીજા દિવસે પણ રેશનિંગ દુકાનો બંધ રહેતા લાખો રેશનકાર્ડ ધારકો અનાજ મેળવી શક્યા ન હતાં. સરકાર સાથે સમાધાન નહી થતાં રેશનિંગ દુકાનના સંચાલકો છેલ્લે સુધી લડી લેવાના મૂડમા છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લામાં ૭૦૦થી પણ વધુ રેશનિંગ દુકાનો આવેલી છે. આ દુકાનોમાંથી ૧૦ લાખથી પણ વધુ લાભાર્થીઓને સસ્તા દરે અનાજ સહિતનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. લાખો લાભાર્થીઓ સુધી સરકારી અનાજનો પુરવઠો પહોંચાડતા રેશનિંગ દુકાનદારોનું વર્ષોથી સરકાર શોષણ કરતી હોવાની બૂમો ઉઠી છે. દુકાનદારો દ્વારા આંદોલન પણ કરવામાં આવતું હોય છે પરંતુ બાદમાં સરકાર વાયદા કરીને દુકાનદારોને મનાવી લે છે.
બે વર્ષ પહેલાં દુકાનદારોએ કમિશન વધારવાની માંગણીની સાથે અન્ય માંગણીઓ કરી હતી પરંતુ આ નિર્ણય નીતિ વિષયક છે તેમ કહી સરકારી અધિકારીઓ નિર્ણય લેવાનું ટાળતા હતાં. જો કે આ વખતે દુકાનદારો મક્કમ છે અને તા.૧ નવેમ્બરથી જ સરકારી જથ્થો નહી ઉપાડવાનું નક્કી કરી દુકાનો બંધ રાખવા માંડયા છે. વડોદરા શહેર સિવાય તાલુકા કક્ષાની રેશનિંગ દુકાનો રવિવારે ચાલુ હોય છે જ્યારે સોમવારે તેઓ બંધ રાખે છે પરંતુ આજે તાલુકાના દુકાનદારોએ બંધ પાડયો હતો જેના પગલે અનાજ લેવા આવતા અનેક લાભાર્થીઓને ધક્કો પડયો હતો.
ફેર પ્રાઇઝ એસોસિએશને જણાવ્યું હતું કે કેટલાંક દુકાનદારોએ તંત્રના દબાણથી અનાજ મેળવવાનું ચલણ જનરેટ કર્યુ હતું પરંતુ હવે મોટાભાગના દુકાનદારો પણ આ હડતાળમાં જોડાયા છે.










