![]()
વડોદરા, તા.૩ વડોદરા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત જાહેર થતાં જ સરકાર સફાળી જાગી છે અને પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ૧૦૭ જેટલી ટીમો ખેતરોમાં જઇને નુકસાની તપાસી રહી છે.
૧૦૭ ટીમોની રચનામાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, કમોસમી વરસાદના પરિણામે વડોદરા જિલ્લામાં ડાંગર, સોયાબીન, મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત અન્ય પાકો પણ બગડયા છે. કાપણીના તબક્કે રહેલા ડાંગર અને મગફળીના પાકોના પાથરા પડયા હોવાથી તેમાં જ ઉગી ગયા હોવાનું સર્વેમાં ધ્યાને આવે છે. કપાસ અને મગફળીમાં પણ આવી સ્થિતિ જણાઇ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના તમામ ગામોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તા.૩ની સ્થિતિએ ડભોઇ તાલુકામાં ૭૫, ડેસર તાલુકામાં ૨૮, કરજણમાં ૫૧, પાદરામાં ૫૮, સાવલીમાં ૫૭, શિનોરમાં ૩૦, વડોદરા તાલુકામાં ૫૧, વાઘોડિયા તાલુકામાં ૫૬ મળી કુલ ૪૦૬ ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઇ છે. સુખલીપુરા ગામમાં કેટલાટ ખેડૂતોએ ડાંગર કાપીને ખેતરમાં રાખી હતી. આ ડાંગરના ડુંડા જ ઉગી નીકળ્યા હોવાનું જણાયું હતું.
સુખલીપૂરા ગામના સરપંચે જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તેમના પાકમાં નુકસાન થતા સર્વે હાથ ધરાયો છે અને હવે તત્કાલ પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી માંગણી છે.










