![]()
૩.૭૫ કરોડ મતદારો ૧૩૧૪ ઉમેદવારોનાં ભાગ્યનો ફેંસલો કરશે
૪૫,૩૪૧ મતદાન કેન્દ્રોની રચના : ૧૦.૭૨ લાખ નવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં ૩.૭૫ કરોડ મતદારો ૧૩૧૪ ઉમેદવારોનાં ભાગ્યનો ફેંસલો કરશે. જે દિગ્ગજ નેતાઓનો આવતીકાલે ભાગ્યનો ફેંસલો થવાનો છે તેમાં મુખ્યપ્રધાન પદનાં ઉમેદવાર તેજસ્વી યાદવ અને વર્તમાન નાયબ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીનો સમાવેશ થાય છે.
તેજસ્વી યાદવ રાધોપુર બેઠક પરથી સતત ત્રીજી વખત જીતવાનાં ઇરાદાથી મેદાનમાં છે. તેમની સામે ભાજપનાં સતીશ કુમાર ઉભા રહ્યાં છે. જેમણે ૨૦૧૦માં તેજસ્વીનાં માતા રાબડી દેવીને હરાવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે અગાઉ તેજસ્વી સામે લડવાની જાહેરાત કરી હતી જો કે ત્યારબાદ તે આ બેઠક પરથી હટી ગયા હતાં અને પોતાના પક્ષનાં ચંચલ સિંહને ઉમેદવાર બનાવ્યા હતાં.
નવા પક્ષ જનશક્તિ જનતા દળની રચના કરનારા તેજપ્રતાપ યાદવ મહુઆ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પર રાજદે મુકેશ રોશનને ટિકીટ આપી છે. જ્યારે લોજપા (રામ વિલાસ)નાં ઉમેદવાર સંજય સિંહ છે. આ ઉપરાંત આ બેઠક પર અપક્ષ ઉમેદવાર અશમા પરવીન પણ ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠક પર ચૂંટણી થવાની છે. પટણાની દીધા બેઠક પર સૌથી વધારે ૪.૫૮ લાખ મતદારો છે. જ્યારે શેખપુરામાં સૌથી ઓછા ૨.૩૨ લાખ મતદારો છે. કુરહની અને મુઝફ્ફરપુરમાં સૌથી વધુ ૨૦-૨૦ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ભોર, અલૌલી અને પરબત્તા બેઠકો પર સૌથી ઓછા ૫-૫ ઉમેદવારો છે. પ્રથમ તબક્કા માટે ૪૫,૩૪૧ મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી છે. જેમાંથી ૩૬,૭૩૩ ગ્રામીણ વિસ્તારોમાં છે. આ તબક્કામાં ૧૦.૭૨ લાખ નવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.










