
Vadodara Corporation : વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદી પર વર્ષો પહેલાં બનેલા બ્રીજોની તપાસ બાદ તેમની નિભાવણીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોર્પોરેશનને બ્રીજોના સ્ટ્રક્ચરલ ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટની મદદથી સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં કેટલાક બ્રીજોમાં નિભાવણી સંબંધિત કામગીરી જરૂરી હોવાનું જણાતા હાલ પાંચ બ્રીજોના મજબૂતીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બ્રીજ પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરની હદમાં આવેલા તમામ રેલ્વે, રિવર અને ફ્લાયઓવર બ્રીજોની પ્રી અને પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શન કામગીરી નિયમિત રીતે કરવામાં આવે છે. આગામી પાંચ વર્ષ માટે આ કામગીરી માટે ખાનગી કંપનીઓની પેનલ બનાવવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન તમામ બ્રીજોના પ્રી-મોન્સૂન નિરીક્ષણ બાદ વિવિધ તકનિકી સૂચનો આપવામાં આવ્યા હતા.
તેના આધારે હાલ કાલાઘોડા, આરાધના સિનેમા પાછળ, કાસમઆલા, બાલભવન અને વડસર લેન્ડફિલ પાસે આવેલા બ્રીજોના નિભાવણીના કામને પ્રાથમિકતા અપાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરીથી બ્રીજોના સ્ટ્રક્ચરને વધુ નુકસાન થતું અટકશે તેમજ તેમની આવરદામાં વધારો થશે.










