![]()
Vadodara News: વડોદરાની સયાજી હોસ્પિટલમાં આજે વહેલી સવારે એક અકસ્માતના દર્દીએ આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી. પગમાં ફેક્ચરની સારવાર લઈ રહેલા 65 વર્ષીય વૃદ્ધે સર્જીકલ બિલ્ડિંગના પહેલા માળેથી બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે તેમનો બચાવ થયો હતો અને હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક તેમને ફરીથી સારવાર માટે દાખલ કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ખોડીયાર નગર નજીક આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદભાઈ બાબુરાવ પવાર ગત 5મી નવેમ્બરે પોતાની બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા ફોરવીલર ચાલકે તેમને ટક્કર મારી હતી, જેના કારણે તેમને પગમાં ગંભીર ઈજા અને ફેક્ચર થયું હતું. આ અકસ્માત બાદ દયાનંદભાઈને તાત્કાલિક સારવાર અર્થે તે જ દિવસે (5મી તારીખે) સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ સર્જીકલ બિલ્ડિંગમાં સારવાર હેઠળ હતા.
આ દરમિયાન આજે (શનિવારે) વહેલી સવારે 6:00 વાગ્યાની આસપાસ તેમણે અચાનક બિલ્ડિંગના પહેલા માળે આવેલી બારીમાંથી નીચે ભૂસકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના જોઈને હાજર સ્ટાફ અને અન્ય દર્દીઓ ચોંકી ઉઠ્યા હતા. હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક દોડી જઈને દયાનંદભાઈને બચાવી લીધા હતા અને તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર શરૂ કરી દીધી હતી. દયાનંદભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના અંગે હોસ્પિટલ પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










