![]()
સંજરી પાર્ક સોસોયટીની પાછળના ભાગે ઝરખનો વીડિયો વાયરલ
શિયાળાની શરૃઆતની સાથે ખોરાક અને ટેરેટરી માટે જંગલી પ્રાણીઓનો રહેણાંક વિસ્તારમાં આવતાં ફફડાટ
ગાંધીનગર : સાબરમતી નદીની કોતરોમાં ઝરખ સહિતના જંગલી-શિકારી પ્રાણીઓનો કાયમી
વસવાટ છે જે અગાઉ પ્રાણીઓની વસ્તી ગણતરીમાં પણ સામે આવ્યું હતું ત્યારે પેથાપુરમાં
માનવ વસવાટથી નજીક આ ઝરખ જોવા મળતા વન્યપ્રાણીના નિષ્ણાંતોમાં અચરજ જોવા મળ્યું છે.
તો વસાહતીઓમાં ફફડાટ પણ ફેલાયો છે. અગાઉ સે-૨૫માં પણ શિકારી પ્રાણી આવ્યું હોવાની ફરિયાદ
વસાહતીઓ દ્વારા કરવામાં આવી હતી જેના પગલે વનવિભાગે સર્ચ શરૃ કર્યું છે.
ગાંધીનગર શહેરમાં લીલોતરી વધુ હોવાની સાથે સાબરમતી નદીની
કોતરોને કારણે આ વિસ્તાર દીપડા,
ઝરખ,શાહૂડી, નીલગાય, શિયાળ, લોમડી સહિતના
જંગલી પ્રાણીઓ માટે વસવાટ સમાન બની ગયો છે. ત્યારે ખોરાક, પાણી અને નવી
ટેરેટરીની શોધમાં આ પ્રાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ આટાફેરા કરી રહ્યા છે
જેના કારણે માણસ સાથે જંગલી પ્રાણીઓના ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. બે દિવસ પહેલા
મોડી રાત્રે સે-૨૫ના સુર્યનારાયણ સોસાયટી પાસે ખાસ કરીને સંતોષી માતાજી મંદિર નજીક
પણ કોઇ શિકારી પ્રાણી જોવા મળ્યું હોવાનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
જેના પગલે વનવિભાગની અલાયદી ટીમ દ્વારા ત્યાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે પરંતુ
ત્યાં પણ હજુ સુધી પ્રાણીના કોઇ પુરાવા મળ્યા નથી.ત્યારે સાબરમતી નદીની નજીક આવેલા
પેથાપુર ખાતે પણ ઝરખ હોવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પેથાપુર સંજરી પાર્ક સોસાયટીની નજીક એક ખૂણાના વિસ્તારમાં
કે જ્યાં માનવ વસવાટ છે તેની ખુબ જ નજીક હોવાના એટલે કે, ઝરખ જોવા મળ્યું
હતું. સામાન્ય રીતે ખુબ જ શરમાળ પ્રકૃત્તિનું અને શિકારીકૃળનું ઝરખ માનવ વસવાટની
નજીક જોવા મળતા લોકોમાં ભયની સાથે અચરજ જોવા મળ્યું છે. વનવિભાગની સાથે શ્રી રામ
ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ અહીં કંઇ
જોવા મળ્યું નથી. કોલવડાવાળા રોડ ઉપર પણ ઝરખ જેવું પ્રાણી રાહદારીએ જોયું હોવાનું
વનવિભાગને ધ્યાને આવ્યું છે જેના કારણે ટીમો બનાવીને આ વિસ્તારમાં રાત્રીના સમયે
સર્ચ કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં હાથ ધરાશે.
નદીના કોતરોમાં ઝરખનો કાયમી વસવાટ રહેણાંક વિસ્તારમાં
પ્રાણી દેખાતા ભય
સાબરમતી નદીનો કિનારે કોતરો હોવાને કારણે જંગલી પ્રાણી પક્ષીઓ
માટે તે આશ્રયસ્થાન સમાન માનવામાં આવે છે. અહીં કોતરોમાં ઘણા બધા જંગલી પ્રાણી-પક્ષીઓનો
કાયમી વસવાટ છે જેમાં ઝરખનો પણ સમાવેશ થાય છે. જે અગાઉ વસ્તી ગણતરી વખતે પણ સામે આવ્યું
છે. તેવી સ્થિતિમાં આ ઝરખ સહિત શિકારી પ્રાણીના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધી જવાને
કારણે રહિશોમાં ફફડાટ ફેલાયો છે. સામાન્યરીતે ઝરખ શરમાળ પ્રકૃત્તિનું પ્રાણી માનવામાં
આવે છે. પરંતુ બાળકોને તે શિકાર બનાવી શખે છે. આવી સ્થિતિમાં માનવ સાથે કોઇ ઘર્ષણ થાય
તે પહેલા આ શિકારી પ્રાણીને ફરી કોતરોમાં કે જંગલમાં ધકેલી દેવા જોઇએ તેમ નિષ્ણાંતો
માની રહ્યા છે.










