![]()
ટેકનોલોજી પર ઘમંડ ન કરો તે પણ નિષ્ફળ જશે
‘ઈસ્લામિક-અમીરાત-ઓફ-અફઘાનિસ્તાન’ (તાલિબાન) સરકારે પાક. પર દિલ-દગડાઈનો આક્ષેપ મુકતાં કહ્યું : ‘તમે જ મંત્રણા તોડી પાડી છે’
નવી દિલ્હી: પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ઈસંબુલમાં ચાલી રહેલી મંત્રણાનો છેલ્લો અને ત્રીજો રાઉન્ડ નિષ્ફળ રહેતા મંત્રણા પડી ભાંગી છે. બંને બાજુએ ફરી તંગદિલી વ્યાપી રહી છે. ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની (તાલિબાન) સરકારે કહ્યું હતું કે મંત્રણા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિઓની વર્તણુક ઘણી જ ખરાબ હતી. અફઘાનિસ્તાન સરકારના પ્રવકતા ઝબી ઉલ્લાહ મુજાહીદે એક નિવેદન પ્રસિદ્ધ કરી શાંતિ મંત્રણા યોજવા દેવા માટે તૂર્કીનો આભાર માન્યો હતો સાથે કતારનો પણ આભાર માન્યો હતો.
આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, તાલિબાનો તેમની ભૂમિનો ઉપયોગ કોઈપણ આતંકી સંગઠનને નહીં કરવા દે તેવું વચન આપ્યા છતાં પાકિસ્તાને લેખિતમાં તે પ્રતિબદ્ધતા માગી હતી. જે અમોને સ્વીકાર્ય ન હતું. વાસ્તવમાં અલ્લાહની મદદથી જ અમે અમારી ભૂમિ અને અમારી જનતાનું રક્ષણ કરી રહ્યા છીએ.
આ મંત્રણા પડી ભાંગવા માટે પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસીફે અફઘાનિસ્તાન પર કરેલાં દોષારોપણને ફગાવી દેતાં અફઘાનિસ્તાનના સરહદો અને જનજાતિઓ સાથેના સંબંધો વિષેના મંત્રી નુરૂલ્લાહ નૂરીએ તો પાકિસ્તાનને સીધી જ ચેતવણી આપતાં કહી દીધું હતું કે, ‘અફઘાનોની ધીરજની પરીક્ષા બંધ કરો અને તમારી ટેકનોલોજી અંગે ઘમંડ ન કરો, તમારી ગમે તેટલી એડવાન્સડ ટેકનોલોજી હશે પરંતુ તે નિષ્ફળ રહેશે. અફઘાનિસ્તાનનાં બાળકોથી વૃદ્ધો સુધી સૌ કોઈ લડી લેવા તૈયાર છે. તમે યુદ્ધની ધમકી આપી છે, તો અમે યુદ્ધ માટે તૈયાર જ છીએ.’ ભાઈચારો બરોબર છે, પરંતુ પાકિસ્તાન તે ભૂલી ગયું છે તે ઉશ્કેરણી વગર હુમલા કરે છે.










