Surat : સુરતની પ્રજાની લાંબા સમયથી સરકારી કોલેજની માંગણી પુરી કરવા માટે સરકારે મોટા ઉપાડે લિંબાયતમાં સરકારી કોલેજની જાહેરાત કરી હતી. જોકે, સરકારે જગ્યાની ફાળવણી કરી ન હોવાથી ભાજપ શાસકોએ સુરતના ભાવિ એવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ભોગે લિંબાયત ઈશ્વર નગરના એક કેમ્પસમાં આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે શાળામાં કોલેજ માટે એક બે નહી પરંતુ 15 ઓરડા ફાળવી દીધા છે. ત્રણ વર્ષનો સમય થયો છતાં કોલેજ અહી ચાલે છે અને તેના કારણે સમિતિની શાળામાં એક વર્ગ ખંડમાં ત્રણ ત્રણ વર્ગ ભેગા કરીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે.
સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં સતત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં 1.90 લાખ વિદ્યાર્થીઓ પાલિકાની શાળામાં અભ્યાસ કરે છે. સમિતિની શાળામાં વિદ્યાર્થીઓ વધી રહ્યાં હોવાથી વર્ગખંડની અછત પડી રહી છે. તો બીજી તરફ ભાજપ શાસકોએ વગર વિચાર્યે મોટા નેતાઓને ખુશ કરવા માટે લિંબાયત ઝોનમાં ઈશ્વરનગર ખાતેની પાલિકાની શાળાના ઓરડા ફાળવી દેવાનો નિર્ણય કર્યો હતો.
લિંબાયત ઈશ્વર નગરમાં પાલિકાની શાળામાં ચાર મરાઠી અને બે ગુજરાતી શાળા બે પાળીમાં ચાલે છે અને તેમાં આઠેક હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે તેમ છતાં ભાજપ શાસકોએ એક બે નહીં પરંતુ 14 ઓરડા (વર્ગખંડ) કોમર્સ અને આર્ટસ કોલેજ માટે ફાળવી દીધા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ શાળામાં કોલેજ ચાલી રહી છે તેના કારણે આ શાળામાં એક જ વર્ગખંડમાં ત્રણ ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરીને અભ્યાસ કરાવવો પડે છે.
જોકે, આ ઓરડા આપવાનો નિર્ણય શાસકોનો છે અને તેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગેની ફરિયાદ છે પણ નેતાઓના આદેશથી શાળાના વર્ગખંડ આપવામાં આવ્યા હોય શિક્ષકો પણ લાચાર બની ગયાં છે. કોલેજના ભોગે હવે પ્રાથમિક શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓને જગ્યા ઘટી રહી છે અને એક વર્ગમાં એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓ બેસતા હોય શિક્ષણ આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વાલીઓ અને શિક્ષકો ફરિયાદ કરી રહ્યાં છે પંરતુ આ કોલેજ માટે સરકાર જગ્યા ફાળવતી ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી આ સ્કુલમાં કોલેજ ચાલી રહી છે.
સરકાર અને મોટા નેતાઓએ મોટા ઉપાડે સરકારની કોલેજની જાહેરાત કરી વાહ વાહ મેળવી છે પરંતુ હવે ગરીબ બાળકો અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓના શિક્ષણનો ભોગ લેવાઈ રહ્યો છે તેમ છતાં તંત્રની આંખ ખુલતી નથી. પાલિકા કેમ્પસમાં પાલિકાની શાળાના વિદ્યાર્થીઓના ભોગે સરકારી કોલેજ ચાલે છે. આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે તેથી વર્ગખંડ ઘટે છે તો બીજી તરફ કોલેજને 14 જેટલા વર્ગખંડ આપી દેવાતા ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો સમિતિમાં ઘાટ થયો છે.
ડિંડોલી સાઈ પોન્ટની શાળામાં દસ વર્ષથી આઈટીઆઈ ચાલે છે
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સતત વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે ત્યારે પાલિકાના શાસકો દ્વારા દસ વર્ષ કરતાં વધુ સમય પહેલાં ડીંડોલી સાઈ પોઇન્ટ ખાતે આવેલી શિક્ષણ સમિતિની શાળામાં આઈટીઆઈ શરૂ કરી દેવામાં આવી છે. હાલ શાળામાં બે પાળી મળીને 2800 જેટલા વિદ્યાર્થીઓ છે અને તેમને બેસવા માટે જ રૂમ ઓછા છે તેવામા આઈટીઆઈને ફાળવેલા રૂમ સ્કૂલ માટે આફત બની ગયાં છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં એક તરફ વિદ્યાર્થી વધી રહ્યાં છે અને બીજી તરફ વર્ગખંડમાં ઘટાડો થઈ રહ્યો છે. લિંબાયત ઈશ્વરનગરમાં પાલિકાની સ્કૂલમાં ત્રણ વર્ષથી સરકારી કોલેજ ચાલે છે તો ડીંડોલી ખાતે આવેલા સાઈ પોઇન્ટ વિસ્તારમાં પાલિકાની શાળા ક્રમાંક 32 અને 329 ચાલે છે જેમાં 2800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દસેક વર્ષ પહેલાં પાલિકાએ આ શાળાના 6 વર્ગ આઈટીઆઈ માટે ફાળવી દીધા હતા. હવે શાળામાં સંખ્યા વધી છે પરંતુ આઈટીઆઈ બીજી જગ્યાએ ખસેડવામાં આવતી નથી. જેથી લિંબાયતની જેમ આ સ્કૂલમાં પણ એક જ વર્ગખંડમાં એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે.
એક વર્ગખંડમાં એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓ હોવાથી સરકારે વર્ગખંડ માટે સંખ્યા નક્કી કરી છે તે જ નિયમોનો ભંગ થાય છે પરંતુ અન્ય માટે વર્ગખંડ ફાળવી દેવાતા વધુ સંખ્યામાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પાલિકાની શાળામાં આઈટીઆઈ અને સરકારી કોલેજ ચાલે છે પરંતુ સ્થાનિક નેતાઓ આ સમસ્યાનો હલ લાવવા માટે પ્રયાસ કરતા ન હોવાની ફરિયાદ થઈ રહી છે.