![]()
– વિરોધ વચ્ચે જિલ્લા પંચાયતની સામાન્ય સભા સંપન્ન
– 4 વર્ષમાં કામો કરવામાં વિલંબથી રૂા. 2.75 કરોડની ગ્રાન્ટ ન વપરાયાનો કોંગ્રેસનો આક્ષેપ : વિવાદો, કાયદાકીય ગુંચના લીધે ગ્રાન્ટનો ઉપયોગ ન થઈ શક્યાનો ભાજપનો દાવો
આણંદ : ભાજપ શાસિત આણંદ જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં સત્તાધીશોની ઘોર બેદરકારીથી ચાર વર્ષથી વપરાયા વગર પડી રહેલી રૂા. ૨.૭૫ કરોડની ગ્રાન્ટના મામલે વિરોધપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આ ગ્રાન્ટ મંજૂર કરીને રૂા. ૪.૧૦ કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી.
આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા સરદાર પટેલ સાભાખંડમાં બપોરે ૧ વાગ્યે યોજાઇ હતી. જેમાં ૧૧ જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે કામ નં.-૪ મુજબ આણંદ જિલ્લા પંચાયતમાં ૧૫માં નાણાપંચની ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન મળેલી ગ્રાન્ટ પૈકી બચત રકમ અને વ્યાજની કુલ રકમનો આંકડો ૨.૭૫ કરોડ થવા પામ્યો છે. જેની સામે રૂા. ૨.૪૦ કરોડના કામો ટાઇડ (કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે) ગ્રાન્ટ તરીકે અને ૧.૭૦ કરોડના કામો અનટાઇડ (કોઈપણ પ્રોજેક્ટ માટે) ગ્રાન્ટ તરીકે સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા હતા. કુલ ૨.૭૫ કરોડની બચત ગ્રાન્ટ અને વ્યાજની રકમ ચાર વર્ષથી જિલ્લા પંચાયતમાં વપરાયા વિના પડી રહી હતી. તેને સામાન્ય સભામાં અંદાજિત ૪.૧૦ કરોડના કામોનું આયોજન કરીને મંજૂર કરાઈ હતી.
સામાન્ય સભામાં વિરોધપક્ષ કોંગ્રેસના નટવરસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત દ્વારા ચાર વર્ષમાં વિકાસના કામો કરવામાં વિલંબ થયો હોવાથી રૂા. ૨.૭૫ કરોડની માતબર રકમની ગ્રાન્ટ વપરાયા વિના જ પડી રહી હતી. હવે ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી ત્વરિત ગ્રાન્ટની ફાળવણી કરી વિકાસની વાતો કરવા માંડી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ફાળવેલી ગ્રાન્ટમાં અમુક વિવાદો અને કાયદાકીય ગુંચ ઊભી થઈ હોવાથી ગ્રાંટનો ઉપયોગ થઈ શક્યો નહોતો. હવે તમામ ગ્રાન્ટ નવેસરથી આયોજન કરીને ગામડાઓના વિકાસ માટે ફાળવવામાં આવી છે.
ત્રિભુવનદાસ સહકારી યુનિ.ને વિવિધ કરમાંથી મૂક્તિનો ઠરાવ કરાયો
અન્ય કામોમાં ગુજરાતની ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટીની આણંદ તાલુકાના જોખરિયા ગામમાં આવેલી ૬૦ ગુંઠા જમીન મુદ્દે લોકલ, શેસ કર અને શિક્ષણ ઉપકરમાંથી મુક્તિ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.










