![]()
World Bank Funds Used For Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ શાનદાર જીત મેળવી છે. ત્યારે આ વચ્ચે હવે બિહાર ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજે દાવો કર્યો છે કે રાજ્યની ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. જન સુરાજના પ્રવક્તા અને પાર્ટીના પ્રમુખ કર્તા-ધર્તા પવન વર્માએ આરોપ લગાવ્યો છે કે વર્લ્ડ બેન્ક પાસેથી પ્રાપ્ત પૈસા જે મૂળરૂપે કોઈ અન્ય પ્રોજેક્ટ્સ માટે હતા, તેનો કેન્દ્ર સરકારે બિહાર વિધાનસભા ઉપયોગ કરીને રાજ્યના મહિલા મતદારોમાં વહેંચી દીધા.
બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ
જન સુરાના પ્રવક્તા પવન વર્માએ આરોપ લગાવ્યો છે કે, વર્લ્ડ બેન્કમાંથી મળેલા પૈસા જે મૂળ રૂપે કોઈ અન્ય પ્રોજેક્ટ માટે હતા, તેનો કેન્દ્ર સરકારે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કર્યો. વર્માના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પહેલા નીતિશ કુમાર સરકારે ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ 1.25 કરોડ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, આ રકમ વર્લ્ડ બેન્ક દ્વારા અન્ય પ્રોજેક્ટ માટે આપવામાં આવેલા 21,000 કરોડના ફંડમાંથી લેવામાં આવી હતી.
રાજ્યનો ખજાનો ખાલી, જનતાના પૈસાનો દુરુપયોગ
આ સાથે જ જન સુરાજના પ્રવક્તા પવન વર્માએ કહ્યું કે, આચારસંહિતા લાગુ થયાના એક કલાક પહેલા 14,000 કરોડ ઉપાડીને મહિલાઓમાં વહેંચી દેવામાં આવ્યા હતા. બિહારનું જાહેર દેવું 406,000 કરોડ છે અને દરરોજ 63 કરોડ વ્યાજ ચૂકવવું પડે છે, જેનાથી રાજ્યનો ખજાનો ખાલી થઈ ગયો છે. જન સુરાજના રાષ્ટ્રીય પ્રવક્તા ઉદય સિંહ આરોપ લગાવી ચૂક્યા છે કે, બિહાર ચૂંટણીમાં બહુમતી ખરીદવામાં આવી છે. જાહેર નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો અને રોકડ ટ્રાન્સફર દ્વારા મત ખરીદવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત
બિહારના અર્થતંત્ર પર મોટો બોજ
તેમણે કહ્યું કે, આ ખર્ચથી બિહારના અર્થતંત્ર પર મોટો બોજ પડ્યો છે અને શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અસર પડશે. આરજેડીના સત્તામાં આવવાના ડરથી અમારા મતદારો NDAમાં જતા રહ્યા. અમને 15% મત મળ્યા હોત પણ 4% કરતા ઓછા મળ્યા. અમે ખુદને પણ પૂછી રહ્યા છીએ કે અમને આટલા ઓછા મત કેવી રીતે મળ્યા? દિલ્હી બ્લાસ્ટના કારણે સીમાંચલમાં ધ્રુવીકરણ થયું. જ્યારે પ્રશાંતજીએ 25 બેઠકોની ભવિષ્યવાણી કરી હતી, ત્યારે જેડીયુ પણ આવી જ સ્થિતિમાં હતી. ત્યારબાદ તિજોરી ખુલી ગઈ. આ પૈસાને કારણે જેડીયુને વધુ બેઠકો મળી. મને નથી લાગતું કે તેમણે કંઈ ખોટું કહ્યું હતું.










