અમદાવાદ, રવિવાર
ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાની ડિંગો હાંકવામાં આવે છે. પણ સરકારી કચેરીમાં રૃપિયા લીધા વગર પ્રજાના કામો થતા જ નથી. લોકોએ મજબૂરીવશ અને નાછૂટકે પૈસા આપી લાંચિયા અધિકારીઓ પાસે કામો કઢાવવા પડે છે. જાણીને નવાઇ લાગશે કે છેલ્લા આઠ વર્ષમાં ઉચ્ચ અધિકારીઓ માંડીને વર્ગ-૪ના કર્મચારીઓ અને વચેટિયા મળી કુલ રૃા. ૯ કરોડની માતબરની રકમની લાંચ લીધી હોવાનું ખૂદ એન્ટીકપ્શન બ્યુરો (એ.સી.બી)ની સત્તાવાર વિગતોમાં ખુલ્યું છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ખાતો નથી, ખાવા દેતોના નારા વચ્ચે પૈસા આપ્યા વગર પ્રજાનું કામ થતું નથી એક કડવી વાસ્તવિકતા છે.
પગારથી સંતોષ ન હોય તેમ આઠ વર્ષમાં કેન્દ્રના ૧,૨૨૪ સહિત કુલ ૩,૫૧૭ સરકારી ‘ભ્રષ્ટ લાંચિયા બાબુ’ રંગેહાથ પકડાયા
ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી રહ્યો છે કે રૃપિયા આપ્યા વગર કામ થતા નથી. એસીબીએ છટકું ગોેઠવીને કેન્દ્રના કુલ ૧,૨૨૪ તથા ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ તથા વર્ગ-૪ સહિતના કુલ૩,૫૧૭ સરકારી કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા. જેમાં ખાસ કરીને ૧૦૧૮થી તા.૩૧-૧૦-૨૦૨૫ સુધીમાં ગૃહ વિભાગ કુલ સૌથી વધુ ઉચ્ચ અધિકારી તથા પોલીસ કોન્સ્ટેબલ સહિત ૬૮૨ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જ્યારે પંચાયત વિભાગના ૪૦૫ અને મહેસૂલના ૩૦૨ તથા આરોગ્યના ૩૭ તેમજ શિક્ષણ વિભાગના ૬૭ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઉર્જા વિભાગના ૪૭, ઉદ્યોગના ૪૪ કૃષિના ૪૦૦, શહેરી વિકાસના ૨૧૩ તથા નર્મદાના ૪૯ અને નાણાં વિભાગના ૪૭ તેમજ કેન્દ્રના ૧,૨૨૪ સહિત કુલ ૩,૫૧૭ કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ પકડાયા છે.
પ્રજાજનોમાંથી ફરિયાદ મળે એટલે એસીબી દ્વારા છટકું ગોઠવીને કાર્યવાહી કરવામાં આવે છે. જેટલા પકડાયાં છે તેવા સરકારી લાંચિયા બાબુઓની સંખ્યા હજારોમાં થવા જાય છે. લોકોમાં એવી ચર્ચા છે કે, પગારથી સંતોષ ન હોય તેમ બેફિકર બની લાંચ લેતાં ૩૫૧૭ લાંચિયા પકડાયાં છે. તો, લાંચ લેતાં નહીં પકડાયેલાંઓની સંખ્યા કેટલી મોટી હશે? ફરિયાદ મળે એટલે કાર્યવાહી કરવાની સરકારી પધ્ધતિ સામે પ્રજાજનોના કામ નૈવેદ્ય ધર્યા વગર થતાં નથી તે પણ કડવી વાસ્તવિકતા છે.










