![]()
અમદાવાદ,રવિવાર
સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન (સર)ની કામગીરી દરમિયાન અનેક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સહજાનંદ કોલેજમાં ભાજપના કાર્યકર્તાએ ફોર્મ ભરવા આવેલા વ્યક્તિ સાથે ખુરશી પર બેસવાની સામાન્ય બાબતમાં તરકાર કરીને માર મારીને કાર ચઢાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તાએ કરેલા વર્તનને મામલે સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.
ખાસ કરીને ચૂંટણી લક્ષી કામગીરીમાં ભાજપના કાર્યકરના ક્યા આધારે બીએલઓ પાસે બેસાડવામાં આવ્યો તે પણ મોટો પ્રશ્ન છે. જો કે હાલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે ભાજપના કાર્યકરની મહિલા વિરૂદ્ધની ક્રોસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે આંબાવાડીમાં સહજાનંદ કોલેજ પાછળ આવેલી ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા મનીષભાઇ શાહ અને તેમના પત્ની ધારિણીબેન શાહ શનિવારે સવારે સાડા દશ વાગે સહજાનંદ કોલેજના ઇલેક્શન વોર્ડમાં સરની કામગીરી માટે ગયા હતા. જ્યાં બીએલઓ મનોજભાઇ પાસે ફોર્મ ભરવા માટે ઉભા હતા. આ સમયે બીએલઓ મનોજભાઇ પાસે તેમની જ સોસાયટીમાં રહેતા શ્રીરામ મોદી બીએલઓ પાસેની ખુરશી પર બેઠા હતા. જે ઉભા થતા મનીષભાઇ તે ખુરશી પર બેસીને ફોર્મ ભરતા હતા. ત્યારે શ્રીરામ મોદી ત્યાં આવ્યા હતા અને મનીષભાઇને પાછળથી ઝાપટ મારીને કહ્યુ હતુ કે અહીથી ઉભો થઇ જા. શ્રીરામ મોદીના ગેરવર્તનના કારણે મનીષભાઇના પત્ની ધારિણીબેને બીએલઓ મનોજભાઇને કહ્યું હતું કે આ વ્યક્તિ ખુરશી પર બેસવાના મામલે શા માટે દાદાગીરી કરે છે? મારા પતિ ખાલી બે મિનિટમાં ફોર્મ ભરીને ઉભા થશે. પરંતુ, બીએલઓ મનોજભાઇએ કોઇ જવાબ આપ્યો નહોતો.
આ સમયે સહજાનંદ કોલેજના પ્રિન્સીપલ અને અન્ય સ્ટાફ પણ ત્યાં આવ્યો હતો. તેમણે પણ જણાવ્યું હતું કે શ્રીરામ મોદીને સત્તાવાર બીએલઓ પાસે બેસવા માટે ચૂંટણી વિભાગની સુચના નથી મળી. ત્યારબાદ મામલો બીચકતા ધારિણીબેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા શ્રીરામ મોદીએ ધમકી આપી હતી કે પોલીસ મારૂ કઇ નહી બગાડી શકે તુ પોલીસ સ્ટેશન જઇશ તો ચાર પાંચ દિવસમાં ગાડીથી તમને મરાવી નાખીશ. મારા ભાઇ ભાભી વકીલ છે. તુ મારૂ કઇ નહી બગાડી શકે. જો કે પોલીસ આવે તે પહેલા શ્રીરામ મોદી નાસી ગયો હતો.
બીજી તરફ સેટેલાઇટ પોલીસે ધારિણીબેનની ફરિયાદ નોંધીને શ્રીરામ મોદી વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. આ સાથે ધારિણી શાહ વિરૂદ્ધ શ્રીરામ મોદીએ ક્રોસ ફરિયાદ નોંધાવી છ. જેમાં તેમને છેડતીના કેસમાં ફસાવી દેવાનો આક્ષેપ કરાયો છે.
શ્રીરામ મોદી ભાજપનો બુથ નંબર ૧૫નો અધ્યક્ષ છે અને સરની કામગીરીમાં મદદ કરવા માટે કોર્પોરેટર વંદના શાહે તેમને મેસેજ કરીને સુચના આપતા તે બીએલઓ પાસે બેઠો હતો. પરંતુ, સરકારી વિભાગની કામગીરી કરતા બીએલઓ પાસે ભાજપનો કાર્યકર મદદના નામે કઇ રીતે બેસી શકે? તે બાબતને લઇને પણ સવાલ ઉભા થયા છે.
ભાજપનો કાર્યકર શ્રીરામ મોદી મતદારોના ફોર્મના ફોટો લેતો હતો
મનીષ શાહ સાથે ભાજપના કાર્યકરે કરેલા ગેરવર્તનને કારણે સ્થાનિક લોકો પણ રોષ જોવા મળ્યો હતો. જેમાં કેટલાંક લોકોએ જણાવ્યું હતું શ્રીરામ મોદી મતદારોની વિગતો મેળવતો હતો અને પક્ષનો પ્રચાર થાય તે રીતે કામ કરતો હતો અને મતદારોના ડોક્યુમેન્ટના ફોટો પાડતો હતો. જે બાબતને લઇને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.










