![]()
West Bengal Political News : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે (24 નવેમ્બર) ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખીને ચૂંટણી પંચના નિર્ણયો પર નિશાન સાધ્યું છે. તેમણે બહારથી ડેટા ઓપરેટર અને કર્મચારીઓની નિમણૂક કરવાનો તેમજ હાઉસિંગ સોસાયટીમાં મતદાન કેન્દ્ર બનાવવાની દરખાસ્તને લઈ વાંધો ઉઠાવ્યો છે.
ચૂંટણી પંચે આપેલા નિર્દેશનો મમતાએ વિરોધ કર્યો
વાસ્તવમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને ચૂંટણીને લગતા કામકાજમાં પોતાની રીતે ડેટા એન્ટ્રી ઓપરેટર અને બંગાલ સહાયતા કેન્દ્રના કર્મચારીઓની નિમણૂક કરવાનો ઈન્કાર કર્યો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે બહારની એજન્સી દ્વારા 1000 ડેટા એન્ટ્રી ઓપરેટર અને 50 સોફ્ટવેર ડેવલપરની એક વર્ષ માટે ભરતી કરવા માટે ‘રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ’ બહાર પાડ્યું છે. ત્યારે આ મામલે મમતા બેનરજીએ વાંધો ઉઠાવ્યો છે.
જિલ્લાઓને જરૂરિયાત મુજબ ભરતી કરવાની છૂટ : મમતા બેનરજી
મુખ્યમંત્રી બેનરજી (West Bengal CM Mamata Banerjee)એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner Gyanesh Kumar)ને લખેલા પત્ર કહ્યું કે, ‘જ્યારે જિલ્લાઓ પાસે પહેલેથી જ યોગ્ય કર્મચારીઓ છે અને તેમને જરૂરિયાત મુજબ ભરતી કરવાની છૂટ છે, ત્યારે ચૂંટણી પંચ પોતે આ ભરતી કેમ કરી રહ્યું છે? તેમણે આ નિર્ણય પાછળ કોઈ રાજકીય પક્ષના દબાણ અથવા ખાનગી ફાયદા છુપાયેલા હોવાની શંકા વ્યક્ત કરી છે અને પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ‘ખેલ’! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ ચૂંટાયા, વિપક્ષ ભડક્યું
હાઉસિંગ સોસાયટીમાં મતદાન કેન્દ્ર બનાવવાનો વિરોધ
મમતા બેનરજીએ ચૂંટણી પંચના તે નિર્ણયનો પણ વિરોધ કર્યો છે, જેમાં હાઉસિંગ સોસાયટીમાં મતદાન કેન્દ્ર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘મતદાન કેન્દ્રો હંમેશા સરકારી કે અર્ધ–સરકારી ઇમારતોમાં જ બનાવવામાં આવે છે, જેથી બધા માટે સરળતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે. જો ખાનગી ઈમારતોમાં મતદાન કેન્દ્ર બનાવાશે તો નિષ્ફળતા પર અસર પડશે. આમ કરવાથી સામાન્ય લોકો અને અમીર લોકો વચ્ચે ભેદભાવ ઉભો થશે. આના કારણે ચૂંટણી સિસ્ટમ પર અવિશ્વાસ વધશે. તેમણે સવાલ કર્યો છે કે, આખરે સોસાયટીમાં મતદાન કેન્દ્ર બનાવવાની દરખાસ્ત કેમ કરવામાં આવી છે, શું આ દરખાસ્ત પાછળ કોઈ રાજકીય પક્ષનું દબાણ છે?’
મમતા બેનરજીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘આ બે નિર્ણય પર અમલ કરવામાં આવશે તો ચૂંટણીની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર ગંભીર અસર પડશે.’ બેનરજીએ બંને નિર્ણયોની નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરાવવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી










