![]()
– દેશભરમાંથી અંદાજે 12 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે
– 152 કિલોમીટરની યાત્રા 11 દિવસમાં પૂર્ણ થશે, ચરોતર, વડોદરા, નર્મદા જિલ્લાના ગામોમાંથી યાત્રા પસાર થશે
આણંદ : તા. ૨૬ નવેમ્બરથી કરમસદથી એકતા નગર કેવડિયા કોલોની સુધી એકતા યાત્રાનો પ્રારંભ થવાનો છે. જેમાં દેશભરમાંથી અંદાજે ૧૨ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે.૧૫૨ કિલોમીટરની યાત્રા ૧૧ દિવસમાં પૂર્ણ થશે. એકતા યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમો અને યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ૨૬મી નવેમ્બરે કરમસદથી એકતાનગર કેવડિયા કોલોનો સુધી એકતા યાત્રાનો પ્રારંભ થવાનો છે, આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી દ્વારા કરાવવામાં આવશે.એકતા યાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામોમાંથી પસાર થશે.આ એકતા યાત્રા આણંદ વિદ્યાનગર રોડથી શહીદ ચોકથી પાલિકા ભાવ, ટાઉનહોલ બોરસદ ચોકડીથી જીટોડીયા, કમલમ કાર્યાલય નવાલીથી આસોદક, આંકલાવ અને ઉમેટાના રૂટ પર પ્રસ્થાન કરશે મુખ્યમંત્રી વિદ્યાનગરના શાસ્ત્રી બાગમાં સભા સંબોધશે, જેને અનુલક્ષીને મંડપ વ્યવસ્થાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરમસદ-આણંદ મહાપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંભવિત રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમજ વિવિધ સ્થળોએ સાફસફાઈ અને રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે.
આ યાત્રા પૂર્વે રસ્તામાં આવતા ગામડાઓમાં સરદાર સાહેબના જીવન-કવન પરના સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેમજ સરદાર ગાથા સભામાં ગામના સાચા રત્નો વયોવૃદ્ધ, કુશળ કારીગરો, તેજસ્વી દીકરીઓ, દેશના રક્ષક સૈનિકો, પ્રગતિશીલ ખેડૂતો, સ્વાવલંબી મહિલાઓ અને શ્રે ખેલાડીઓનું સન્માન કરીને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવશે.
20 વર્ષ બાદ સરદાર પટેલની પ્રતિમાનું રંગરોગાન
આણંદ શહેરના ટાઉનહોલ પાસે આવેલા એકતા સર્કલ ઉપરની સરદાર પટેલની પ્રતિમાનું હાલ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ૨૦ વર્ષ વહેલા અનાવરણ કરાયેલી પ્રતિમા પ્રથમ વખત રંગરોગાન કરીને નવીન બનાવવામાં આવી રહી છે. પ્રતિમાની આસપાસ સ્ટીલની રેલિંગ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.
કરમસદમાં સરદાર પટેલના ભાઈ વિઠ્ઠલભાઈની પ્રતિમાની દેખરેખ રાખવામાં તંત્ર નિષ્ફળ
આણંદ : યુનિટી યાત્રામાં સરદાર પટેલના ગુણ ગાન ગાઈ રહેલી કરમસદ-આણંદ મહાનગરપાલિકા કરમસદના પ્રવેશ દ્વારે આવેલી સરદાર પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાની દેખરેખ રાખવામાં નિષ્ફળ ગઈ છે. વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાની ચારે બાજુ ફેન્સીંગ ન હોવાથી ગંદકી થઈ રહી છે અને સીડી પણ કાટ ખાઈ ગઈ છે. તેમજ રંગના અભાવે પણ પ્રતિમા જર્જરિત હોય તેવું લાગી રહ્યું છે.
પદયાત્રાના રૂટમાં 10 ગ્રામસભા અને 11 સરદાર ગાથા સભા યોજાશે
આણંદ : સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એકતા યાત્રા યોજાશે. જેને લઇ પદયાત્રાના રૂટમાં ૧૧ સરદાર ગાથા સભા અને ૧૦ ગ્રામ સભા યોજાશે. જેમાં સરદાર ગાથામાં આણંદ જિલ્લામાં બે, વડોદરા જિલ્લામાં છ અને નર્મદા જિલ્લામાં ૩ સભા યોજાશે. આ્ર રૂટ પર૧૦ ગ્રામસભા યોજાશે. જૈ પૈકી આણંદ જિલ્લામાં આંકલાવમાં એક ગ્રામસભા, વડોદરા જિલ્લામાં સાત ગ્રામસભા અને નર્મદા જિલ્લામાં બે ગ્રામસભા યોજાશે.










