![]()
રાજકીય પક્ષો અશક્ય હોય તેવા વચનો આપી વિશ્વાસ ગુમાવી રહ્યા છે
લોકોને રોકડા રૂપિયા આપી દેવાથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી માટે રોકાણ નથી થતું : આરબીઆઇના પૂર્વ ગવર્નર
નવી દિલ્હી: ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા મતદારોને લલચાવવા માટે નવી નવી મફત સુવિધાઓની જાહેરાતો થતી હોય છે જેને કેટલાક પક્ષો દ્વારા મફતની રેવડી તરીકે પણ ઓળખાવામાં આવે છે. આ મફતની રેવડી મુદ્દે આરબીઆઇના પૂર્વ ગવર્નર દુવ્વુરી સુબ્બારાવે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે મફતખોરીની સંસ્કૃતિ ચૂંટણીમાં જીત તો અપાવી શકે છે પરંતુ તેનાથી રાષ્ટ્ર નિર્માણ શક્ય નથી.
સુબ્બારાવે કહ્યું હતું કે આ મફતની રેવડી જેવા અભિયાન દ્વારા રાજકીય પક્ષો સતત અશક્ય વચનો આપીને એકબીજાથી આગળ નિકળવા પ્રયાસો કરતી હોય છે. સુબ્બારાવે કહ્યું હતું કે બિહારમાં એનડીએ દ્વારા મહિલાઓના ખાતામાં ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષ મહાગઠબંધને તો મહિલાઓના ખાતામાં ૩૦ હજાર રૂપિયા આપવાની સાથે સરકારી નોકરી સહિતના વચનો આપ્યા હતા. આ તમામ વચનો હકીકતથી ઘણા દૂર હતા. એવુ લાગી રહ્યું હતું જાણે રાજકીય પક્ષો સ્પર્ધામાં ઉતરી ગયા છે.
આરબીઆઇના પૂર્વ ગવર્નર સુબ્બારાવે કહ્યું હતું કે જ્યારે રાજકીય પક્ષો રૂપિયા વહેચે છે કે મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે હકીકતમાં તેની અસર બહુ જ ઓછી જોવા મળે છે. આ વચનો દ્વારા ભલે કોઇ પક્ષ વધુ મતો મેળવી લેતો હોય પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે ઠીક નથી.
લોકોનો વિશ્વાસ પક્ષો ગુમાવી દેશે. સૌથી મોટી સમસ્યા એ છે કે આ પ્રકારની ગેરંટી પર ચૂંટાયેલી સરકારો હવે પોતાના વચનો પુરા કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૩ દરમિયાન યુપીએ સરકારના શાસનમાં આરબીઆઇ ગવર્નર રહી ચુકેલા સુબ્બારાવે કહ્યું હતું કે રોકડા રૂપિયા આપવાના આ વાયદાઓ અને તેના અમલને કારણે ખરેખર નાણા જ્યાં ખર્ચ કરવા જોઇએ ત્યા નથી થતા જેમ કે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી પેદા કરવી વગેરે.










