![]()
– હવામાન વિભાગની આગાહી : શિયાળો ત્રણ મહિના લાંબો ચાલશે
– જમ્મુ-કાશ્મીરમાં સીઝનની પહેલી બરફવર્ષાથી ઠંડીનું મોજું ફરી વળ્યું કેદારનાથ માઈનસ 14 ડિગ્રીએ થીજ્યું, હિમાચલમાં વરસાદની શક્યતા
નવી દિલ્હી : હવામાન વિભાગે દેશમાં આ વર્ષે કાતિલ ઠંડી પડશે તેવી ચેતવણી આપી છે. શિયાળાની સીઝન ત્રણ મહિના લાંબી ચાલશે અને ઉત્તર, મધ્ય અને પૂર્વોત્તરના રાજ્યોમાં સરેરાશ કરતાં વધારે ઠંડી પડશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, લદાખ, ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં બરફવર્ષા થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેદારનાથમાં તો તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રીની નીચે આવી ગયો હતો.
હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના ઘણાં વિસ્તારો માટે શીતલહેરની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં બરફવર્ષા થતાં ઉત્તર ભારતમાં આગામી બે-ત્રણ દિવસમાં ઠંડી વધશે. કાશ્મીરમાં અમુક સ્થળોએ તાપમાન શૂન્યએ થીજ્યું હતું. શ્રીનગર માઈનસ ૧.૯ ડિગ્રી, બારામુલ્લામાં માઈનસ ૪.૪ ડિગ્રી, કુપવાહામાં માઈનસ ૩.૨ ડિગ્રી સુધી તાપમાન ગગડયું હતું. પહલગામમાં બરફવર્ષા થતાં પ્રવાસીઓમાં ઉત્સાહ જણાતો હતો.
જબલપુર, ગ્વાલિયર, ઈન્દોર, ભોપાલ, ઉજ્જૈન, બિકાનેર, શેખાવાટીમાં તાપમાન ૧૦ ડિગ્રીથી નીચું જતાં હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કેટલાક પ્રદેશોમાં બે ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં તાપમાન ધારણા કરતાં વધારે નીચું જશે એટલે શીતલહેરની શક્યતા છે. ડિસેમ્બરથી ફેબુ્રઆરી સુધીમાં ઉત્તર ભારતમાં છથી સાત દિવસ શીતલહેરની શક્યતા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં ચારથી છ દિવસ શીતલહેર જેવી સ્થિતિ હશે અને એ દિવસોમાં કાતિલ ઠંડીના કારણે જનજીવનને અસર પડશે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં દિતવાહ વાવાઝોડાંની અસર હેઠળ ઘણાં સ્થળોએ ભારે વરસાદથી આગાહી છે. દક્ષિણ ભારતના કાંચીપુરમ, તિરૂવલ્લૂર, ચેન્નાઈ, ચેંગલપટ્ટ અને રાનીપેટમાં વરસાદી ઝાપટાં પડયા હતા. તેની અસર વાતાવરણમાં થઈ હતી. આ વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાયો હતો.










