![]()
ગાંધીનગર કોર્પોરેશનની સેનિટેશન શાખાએ
બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરી દેવાયો યાત્રાધામ આસપાસ તપાસ ઝુંબેશ ચાલુ રખાશે
ગાંધીનગર : હાલમાં યાત્રાધામ આસપાસ ખાણીપીણીના એકમોમાં તપાસ કરવા માટે
સચિવાલયથી છૂટેલા આદેશને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખાએ અક્ષરધામ
પાસે તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય પદાર્થનો નાશ કરીને ૨૫ જેટલા ખાણીપીણીના
વેપારીઓને નોટિસ ફટકારી હતી.
ગાંધીનગર સચિવાલય ખાતે ગઈકાલે નાયબ મુખ્યમંત્રીની
અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં યાત્રાધામ આસપાસના વિસ્તારોમાં ખાણીપીણી એકમો ઉપર તપાસ
કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો જેના પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા
દ્વારા ગાંધીનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષરધામ વિસ્તારમાં એક વિશેષ ડ્રાઈવનું
આયોજન કરવામાં આવ્યું હતું. સેનિટેશન શાખા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી
આ તપાસ ઝુંબેશમાં ખાદ્યચીજોની ગુણવત્તા,
હાઈજીન અને કચરાના નિકાલ જેવી બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ
ડ્રાઈવ દરમિયાન કુલ ૩૨ જેટલા ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમોની ચકાસણી કરવામાં આવી
હતી. આ તપાસ દરમિયાન અધિકારીઓને બિનઆરોગ્યપ્રદ જણાયેલા ખાદ્યપદાર્થોનો જથ્થો મળી
આવ્યો હતો, જેનો
સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરવામાં આવેલ જથ્થામાં ૧૬૨ નંગ બ્રેડ-પાઉ, ૧૨ કિલોગ્રામ
શંકાસ્પદ ચટણી અને પાણીપુરી માટેના ૮ કિલોગ્રામ બાફેલા બટાકાનો સમાવેશ થાય છે. આ
ઉપરાંત, સ્વાસ્થ્ય
માટે હાનિકારક ગણાતી અને નાસ્તો પીરસવા માટે ઉપયોગમાં લેવાતી આશરે ૩.૫ કિલોગ્રામ
પસ્તી પણ જપ્ત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં, ફૂડ સેફ્ટી
ઓફિસરો દ્વારા ગુણવત્તાની ખાતરી કરવા માટે સ્થળ પર જ વૈજ્ઞાાનિક પરીક્ષણો હાથ
ધરવામાં આવ્યા હતા. સ્વચ્છતાના નિયમોનો ભંગ અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતા કુલ ૨૫
એકમોને નોટિસ પાઠવવામાં આવી છે તેમજ નિયમ ભંગ બદલ કસૂરવાર વેપારીઓ પાસેથી કુલ રૃ.
૩૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.










