![]()
Image Source: IANS
Indigo Crisis: સમગ્ર દેશમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ સરકાર હરકતમાં આવી છે. DGCAએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. ત્યારબાદ હવે ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે.
DGCAએ ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આપ્યા આદેશ
DGCAએ ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે. તપાસ કમિટી 15 દિવસમાં DGCAને પોતાનો રિપોર્ટ સોંપશે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. તમામ ખામીઓની તપાસ કરવા માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં DGCAના સીનિયર અધિકારી સામેલ છે.
આ પણ વાંચો: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ
ઉચ્ચ-સ્તરીય તપાસ પણ શરૂ કરી દેવાઈ: નાગરિક ઉડ્ડયન મંત્રી
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં મોડું થવું અને કેન્શલ થવાના કારણે થઈ રહેલી મુશ્કેલીઓની એક ઉચ્ચ-સ્તરીય તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. જવાબદારી નક્કી કરાશે અને ભવિષ્યમાં એવી મુશ્કેલીઓને રોકવા માટે મહત્ત્વના પગલા ભરવામાં આવશે. મુસાફરોની સુવિધા અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેશે.’
વઘુમાં તેમણે કહ્યું કે, ‘સરકાર પરિસ્થિતિને સામાન્ય કરવા માટે તાત્કાલિક અને મોટા પગલાં ભરી રહી છે. ઉચ્ચ-સ્તરિય તપાસ થઈ રહી છે. 3 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થવાની આશા છે. હવે જ્યારે નવા નિર્દેશ લાગુ કરી દેવાયા છે તો ફ્લાઈટ્સનું શેડ્યૂલ કાલથી સ્થિર થવા લાગશે.’
આ પણ વાંચો: MH370નું રહસ્ય ખુલશે! 10 વર્ષ અગાઉ 239 મુસાફરો સાથે ગાયબ થયેલા વિમાનની ફરી શોધખોળ










