Jamnagar Cyber Crime : જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની છેલ્લા ત્રણ માસ દરમિયાન ખૂબ જ અસરકારક કામગીરી જોવા મળી છે, અને જિલ્લા ભરના 60 થી વધુ નાગરિકોની છેલ્લા ત્રણ મહિના દરમિયાનની ઓનલાઈન બેન્કિંગ ફ્રોડમાં ગયેલી 1 કરોડ 21 લાખની રકમ અદાલતના હુકમના આધારે પરત મેળવીને જે તે આસામીના ખાતામાં જમા કરાવડાવી દીધી છે.
સાયબર ક્રાઇમ (નાણાંકીય છેતરપીંડી)નો ભોગ બનેલા જામનગર શહેર અને જીલ્લાના 60 થી વધુ અરજદારોને અદાલતના હુકમના આધારે કૂલ રૂ.1,21,22,402ની રકમ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા જેતે આસામીને પરત તેઓના બેન્ક ખાતામાં જમા કરાવડાવી દીધી છે.
રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ તથા જામ શહેરના નાયબ પો.અધિ.જયવિરસિંહ ઝાલા વગેરેએ સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરિકોને તાત્કાલિક મદદરૂપ થવા અને તેમનાં ગુમાવેલાં નાણાં પરત અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પો.ઈન્સ. આઇ.એ.ઘાસુરાને માર્ગદર્શન હેઠળ સૂચના આપી હતી.
જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગરની ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 60 થી વધુ અરજદારોનો સંપર્ક સાધી તેઓની બેંકની જરૂરી માહિતીઓ મંગાવી ફ્રોડમાં ગયેલા નાણા પરત મેળવવા સામેવાળાનાઓના બેન્ક એકાઉન્ટની માહિતીઓ મંગાવી છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત મળી રહે, તે માટે અદાલતના હુકમ મેળવી જામનગરના અરજદારોને રૂ.1,21,22,402/- (એક કરોડ એકવીસ લાખ બાવીસ હાજાર ચારસો બે) પરત કરાવેલા છે.