![]()
Rajkot Suryakiran Team Air Show: આજે 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજના દિવસે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા રાજકોટના અટલ સરોવર વિસ્તારમાં દિલધકડ હવાઈ કરતબ કરવામાં આવ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ના 9 વિમાનોએ આકાશમાં અદભૂત શૌર્ય, ચોકસાઈ અને તાલમેલ સાથે એર શૉ કર્યો હતો. જેને જોઈ હાજર દર્શકોના દિલ ગદગદ થઈ હતા.
અનોખા ફોર્મેશન, અદભૂત પરાક્રમ
C-295 એરક્રાફ્ટની ફ્લાયપાસ્ટ સાથે એર-શોનો રંગારંગ પ્રારંભ થયો હતો. જે બાદ ‘આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમ’ના જવાનોએ 8000 ફૂટની ઊંચાઈએ કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન હતું. જેમાં પેરાટ્રૂપર્સે છલાંગ લગાવી હવામાં અનોખા ફોર્મેશન કરી પરાક્રમ બતાવ્યું હતું. જ્યારે ગરુડ કમાન્ડોએ હોલિકોપ્ટર દ્વારા હવામાંથી થતાં રેસ્ક્યૂનો લાઈવ ડેમો બતાવી દંગ કરી દીધા હતા.
ભીડ થતાં મોબાઈલનાં નેટવર્ક, ઈન્ટરનેટ ઠપ્પ
લોકોને એર શો જોવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં 17થી 20 જેટલી મોટી સ્ક્રીન મૂકી હતી. આનંદ અને ચિચિયારીઓ સાથે લોકોએ હવાઈ કરતબને માણ્યા હતા. મહત્વનું છે કે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો જોવા ભારે ભીડ ઉમટી હતી. જેના કારણે પાર્કિંગ ભરાઈ ગયા હતા અને મોબાઈલનાં નેટવર્ક, ઈન્ટરનેટ ઠપ્પ થઈ ગયું હતું. લોકો ભારે પરેશાનીનો સામનો કરી બહાર નીકળ્યા હતા.
મ્યુ. કમિશનરે એરફોર્સનો આભાર વ્યક્ત કર્યો
મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ કહ્યું કે ‘રાજકોટમાં આ પ્રકારનું આયોજન પહેલીવાર થયું હતું, અને એકસાથે સૂર્યકિરણ, આકાશગંગા, બેન્ડ અને સ્ટેટિક ડિસ્પ્લેનું સંયોજન ભાગ્યે જ જોવા મળે છે. રાજકોટને આવું સન્માન આપવા બદલ તેમણે એરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.’
6 ડિસેમ્બરના રોજ થયું હતું ફૂલડ્રેસ રિહર્સલ
ગઇકાલે 6 ડિસેમ્બરના રોજ આર્મી જવાનોએ ફૂલડ્રેસ સાથે શો જેવું જ રિહર્સલ યોજ્યું હતું. રાજકોટ શહેરના આંગણે પ્રથમવાર રૈયા વિસ્તારના પશ્ચિમ આકાશમાં એરફોર્સના કૌવત અને કૌશલ્યનું દિલધડક પ્રદર્શનને લોકોએ હર્ષનાદોથી વધાવી લીધું હતું. રિહર્સલમાં જ આશરે 50,000 જેટલા નાગરિકોએ આ શોને માણ્યો હતો. બાદમાં મુખ્ય શોમાં જામનગર કે જ્યાં એરફોર્સનું મથક છે ત્યાંથી 9 વિમાનો ઉડયા હતા. જેણે રાજકોટના આકાશમાં આવીને રોમાંચક અને દિલધડક કરતબો રજૂ કર્યા હતા. એક લાઈનમાં એરો આકારમાં ધસમસતા તેમજ ધુમ્રસેર છોડતા વિમાનો, આકાશમાં વિમાનોથી દિલનો આકાર , તિરંગો, સામસામા ધસમસતા અને સ્ટન્ટ દર્શાવતા વિમાનો જોઈને ઉપસ્થિત મેદની રોમાંચિત થઈ હતી. આ વિમાનો આકાશમાં 90 ડીગ્રીએ ઉપર જઈને નીચે આવતા જોઈને સૈન્યના શૌર્ય, એક સેકન્ડની પણ ભૂલ વગરનું ટાઈમ મેનેજમેન્ટ,કૌશલ્યનો પરચો મળ્યો હતો. છેલ્લે 8000 ફૂટની ઉંચાઈ ઉડતા વિમાનમાંથી છ જવાનો પેરેશૂટથી જમ્મ કર્યો અને તીવ્ર ગતિએ જમીન ભણી અટલ સરોવરના કાંઠે ઉતરીને સાહસ અને સજ્જતાનો પરિચય આપ્યો હતો.










