![]()
Amreli News: અમરેલી: ગુજરાતમાં ગેરકાયદે ખનન માફિયાઓને સ્થાનિક તંત્ર અને રાજકીય વર્તુળોમાંથી છૂટો દોર મળી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે, અમરેલી જિલ્લામાં ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગના કાયદાને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. શેત્રુંજી નદીમાં બેરોકટોક રેતી ચોરી ચાલી રહી હોવાની સ્થાનિકોની અનેક ફરિયાદો બાદ આખરે વહીવટી તંત્ર જાગ્યું છે, પણ આ કાર્યવાહી માત્ર નામ પૂરતી અને દેખાવ ખાતર કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે.
વાહનો કબજે, પણ મુખ્ય સૂત્રધારો સામે કાર્યવાહી ક્યારે?
અમરેલી તાલુકા પોલીસ અને ખાણ ખનીજ વિભાગે હવે ‘લાલ આંખ’ કરી હોવાનો દાવો કર્યો છે. તાલુકા પી.આઇ. ઓમદેવસિંહ જાડેજાની ટીમે ખાણ ખનીજ વિભાગ સાથે મળીને ચાપાથલ ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. જેમાં રેતી ચોરી કરતાં 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 જેસીબી, 1 લોડર સહિત કુલ 10 વાહનો કબજે લેવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન રેતીની ચોરી કરતાં આરોપી ન પકડાયા!
ઝડપાયેલા આ તમામ વાહનોની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે, જેને જપ્ત કરીને ખાણ ખનીજ વિભાગે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ કાર્યવાહીનો સૌથી આશ્ચર્યજનક અને ગંભીર પાસું એ છે કે દરોડા દરમિયાન રેતી ચોરી કરતાં કોઈપણ આરોપી કે મુખ્ય સૂત્રધારનો અત્તોપત્તો નથી. પોલીસ અને ખાણ ખનીજ વિભાગે માત્ર સાધનો પકડીને સંતોષ માની લીધો છે, પરંતુ ગેરકાયદે ખનનના નેટવર્કને ચલાવનાર મુખ્ય એજન્સીઓ કે વાહન માલિકો સામે કાર્યવાહી કરવામાં કોઈ રસ દાખવ્યો નથી.
પોલીસની કાર્યવાહી પર સવાલ: શું આ માત્ર ‘દેખાડો’ છે?
આ કાર્યવાહી બાદ તંત્રની સક્રિયતા પર અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે કરોડો રૂપિયાની કિંમતના વાહનો જપ્ત કર્યા, પણ ઘટનાસ્થળેથી એક પણ રેતી માફિયા કે આરોપી પકડાયો નથી. જે વાહનો કબજે કરાયા છે, તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે ગેરકાયદે ખનન કરતી એજન્સીઓ કે વાહનોના માલિકોને ઝડપવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી શું પોલીસ માટે શક્ય નથી?
આ કાર્યવાહીથી બેફામ ખનન ખરેખર અટકી જશે?
હાલ તો ખનીજ માફિયાઓ ફફડી ઉઠ્યા છે, પરંતુ આ કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી કરીને પોલીસ અને ખાણ ખનીજ વિભાગ સંતોષ માની લેશે તો શું અમરેલીની શેત્રુંજી નદીમાં થતું બેફામ ખનન ખરેખર અટકી જશે? ગેરકાયદે ખનનના આ નેટવર્કમાં ઉપરથી નીચે સુધી સાંઠગાંઠ હોવાના આક્ષેપો વચ્ચે, હવે જોવાનું એ રહે છે કે આ દેખાવ પૂરતી કાર્યવાહી બાદ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ ગેરકાયદે ખનનના મુખ્ય સૂત્રધારોને પકડીને આ આખા નેટવર્કને તોડવા માટે કેટલી ગંભીરતાથી અને સક્રિયતાથી પગલાં લે છે.










