![]()
કલોલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ઃ સાત વર્ષ અગાઉ
દવાખાને લઈ જવાની લાલચ આપી નિઃસહાય હાલતમાં મૂકી
આરોપીઓએ કૃત્ય આચર્યું ઃ કોર્ટ, સગીરાને પાંચ લાખ
રૃપિયાનું વળતર ચૂકવવા હુકમ
ગાંધીનગર : ગાંધીનગરના કલોલ ખાતેની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે એક
સગીર વયની બાળકી પર આચરવામાં આવેલા બળાત્કાર અને ગેંગરેપના કેસમાં સમાજમાં દાખલો
બેસે તેવો સીમાચિહ્નરૃપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને કસૂરવાર ઠેરવીને
આજીવન કેદ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે.
સગીરાને પાંચ લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૧૧ જુલાઈ ૨૦૧૮ના રોજ
ગાંધીનગર તાલુકાના ટીટોડા કરસનપુરા ગામે રહેતા યુવાન વિપુલ અમરતજી ઠાકોર દ્વારા
ગાંધીનગર તાલુકાના ગામમાંથી એક સગીરાને લલચાવી ફોસલાવીને બાઈક ઉપર તેનું અપહરણ
કર્યું હતું અને ત્યારબાદ આ સગીરાને સઈજ ગામે એક ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં રાત્રિના
સમયે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી
હતી. એટલું જ નહીં દુષ્કર્મ બાદ વિપુલે સગીરાને શેરીસા કેનાલ પર ઉતારી દીધી હતી.
સગીરા ત્યાં એકલી હતી ત્યારે શેરીસા ગામમાં કાનજીવાસ ખાતે રહેતા અરવિંદ મહિલાજી
ઠાકોર અને બળદેવજી ઉર્ફે પપ્પુ ઉર્ફે ભાણો રમણજી ઠાકોર ત્યાં બાઈક પર આવ્યા હતા.
સગીરાની એકલતાનો લાભ લઈને બળજબરીથી નજીકના નેળિયામાં લઈ ગયા હતા. ત્યાં હાજર તેમના
મિત્રોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો,
પરંતુ આ બંને યુવાનોએ તેમને ધમકાવીને કાઢી મૂક્યા હતા. ત્યારબાદ અરવિંદ અને
બળદેવજીએ વારાફરતી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. અન્ય એક આરોપીએ સગીરા સાથે
બળાત્કાર કરવાનો પ્રયાસ કરી તેનો ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો. જોકે આ સમયે કોઈ
વાહનની લાઈટનું અજવાળું આવતા આ યુવાનો સગીરાને એકલી મૂકીને નસી છૂટયા હતા જે
સંદર્ભે કલોલના સાતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ કલોલના પાંચમા
એડિશનલ સેશન્સ જજશ્રી બી આર રાજપૂતની કોર્ટમાં સ્પેશિયલ પોકસો કેસ નંબર ૧૪-૨૨
તરીકે ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ પંડયા, આર.એલ.પટેલ અને જીગ્નેશ જોશીએ હાજર રહ્યા હતા કેસના અંતે
સરકારી વકીલ જીગ્નેશ જોશીએ દલીલ કરી હતી કે,
પીડિતા સગીર વયની છે અને આરોપીઓએ તેના ભોળપણનો લાભ લઈ હેવાનિયતભર્યું કૃત્ય
કર્યું છે, જે
પીડિતા અને તેના પરિવાર માટે આજીવન દુઃસ્વપ્ન સમાન છે. જેથી આ કેસમાં આરોપીઓને
સમાજમાં દાખલો બેસે તે રીતે સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આરોપી આવું કૃત્ય
કરવાનું વિચારે પણ નહીં. આ દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ કોર્ટ પણ એવા તારણમાં આવી હતી
કે,આરોપીઓએ પીડિતાને
નિઃસહાય હાલતમાં મૂકીને નિર્મમ કૃત્ય કર્યું છે. જેથી ત્રણેય આરોપીઓ વિપુલ અમૃતજી
ઠાકોર, અરવિંદ
મહિલાજી ઠાકોર અને બળદેવજી ઠાકોરને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા અને પ્રત્યેકને
પચાસ હજારનો દંડ ફટકાર્યો હતો.
બે આરોપીઓ જામીન ઉપર છૂટયા બાદ હજી ફરાર
કલોલના આ સામૂહિક બળાત્કારના ગુનામાં આજે કોર્ટ દ્વારા
આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે ત્યારે અરવિંદ ઠાકોર અને
બળદેવ ઠાકોર જામીન ઉપર છુટયા ફરાર થઈ ગયા છે. જેથી કોર્ટે તેમની સામે પકડ વોરંટ પણ
ઇશ્યુુ કર્યું હતું અને તેમના પકડાયા બાદ તેમની આજીવન કેદની સજા અમલમાં આવશે તેવો
હુકમ પણ કર્યો હતો. જ્યારે સગીરાને વિકટીમ કોમ્પેન્સેસન સ્કીમ હેઠળ પાંચ લાખ
રૃપિયાનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.










