![]()
Uttar Pradesh Accident : ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં બુધવારે ભયાનક દુર્ઘટના બની છે. અહીં એક કારની ટક્કરના કારણે બીજી કારમાં ભીષણ આગ લાગી છે, જેમાં પાંચ લોકો કારમાંથી બહાર ન આવી શકતા જીવતા ભૂંજાઈ ગયા છે. અહીં કાર સળગી ત્યારે કેટલા લોકો ગમેતેમ કરીને બહાર આવી રસ્તા પર પડ્યા હતા, જ્યારે કારનો દરવાજો ન ખુલવાના કારણે પાંચ લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા.
એક કારે અન્ય કારને પાછળથી ટક્કર મારતા બની ઘટના
પોલીસના જણાવ્યા મુજબ, ડીગ ગામ પાસે બ્રેઝા કારે રસ્તા પર ઉભેલી વેગનઆર કારને ટક્કર મારી હતી. આ કારના ચાલકે પાણી પીવા માટે રોડ પર કાર થોભાવી હતી. આ કારમાં પતિ-પત્ની અને તેમના ચાર બાળકો હતા. આ દરમિયાન પૂરઝડપે દોડી આવેલી બ્રેઝાએ કારને ટક્કર મારી હતી, જેના કારણે બંને કારમાં આગ લાગી હતી.
ઘટનામાં ત્રણ બાળકોના પણ મોત
ઘટનામાં મઉ જિલ્લાના ઘોસી વિસ્તારના ખાનપુરના રહેવાસી ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્તોમાં બે લોકોની હાલત ગંભીર છે. બંને વાહનોમાં કુલ નવ લોકો સવાર હતા, તમામ ઈજાગ્રસ્તોને હૈદરગઢથી લખનઉમાં રિફર કરવામાં આવ્યા છે. બંને કારમાંથી કાર દિલ્હીની અને બીજી કાર ગાઝિયાબાદની હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ ચર્ચા
કારે ટક્કર મારતા અન્ય કાર 20 મીટર દૂર જઈને પડી
જ્યારે કારમાં આગ લાગી ત્યારે આસપાસના લોકો તુરંત દોડી આવીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતા. નજરે જોનારા ગ્રામજનોએ કહ્યું કે, હાઈવે પર એક કારમાં આગ લાગી હતી, જ્યારે અમે કારની નજીક જઈને જોયું તો અમે ધ્રુજી ગયા હતા. સળગી રહેલા લોકો મદદ માગી રહ્યા હતા. જોકે આગ એટલી ભયંકર હતી કે, અમે તેઓની મદદ પણ ન કરી શક્યા. બ્રેઝા કારે રસ્તા પર ઉભેલી વેગનઆર કારને ટક્કર મારતા કાર 20 મીટર દૂર જઈને પડી હતી. ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગ્રામજનોએ ઘટના અંગે જામ કર્યા બાદ પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તા પર પડી ગયેલા ચાર લોકોને તાત્કાલીક હોસ્પિટલ ખસેડ્યા હતા. રિપોર્ટ મુજબ ચારેય ઈજાગ્રસ્તોની ગંભીર સ્થિતિ છે.
આ પણ વાંચો : ‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે…’ લોકસભામાં બોલ્યા કંગના રનૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન










