![]()
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવા અંગે વસાહતમાં બનેલા 350 ઝૂંપડા પૈકીના બાકી 150 ઝૂંપડા પાલિકાની દબાણ શાખા એ તોડી પાડ્યા હતા. આ કાર્યવાહીનો અનેક ઝૂંપડધારકોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ પોલીસ ટીમે સમજાવટથી મામલો થાળે પાડતા દબાણ શાખાની કાર્યવાહી સરળ બની હતી.
ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિરની સામે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે 350 જેટલા ઝૂંપડામાં શ્રમજીવીઓ રહેતા આવ્યા હતા.
પરંતુ આ જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા પાસે મદદ માગવામાં આવી હતી અને આ તમામ 209 જેટલા ઝૂંપડા ગઈકાલે તોડી નાખયા હતા. જ્યારે બાકીના વધુ 150 ઝૂંપડા પર આજે બુલડોઝરો ફેરવી દેવાતા ભારે હોબાળો મચ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમ આજે સવારે સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાકી રહેલા વધુ 150 ઝૂંપડા તોડી પાડવાની કામગીરી તત્કાળ શરૂ કરી હતી.










