![]()
– બંને બનાવ અંગે જાણવાજોગ નોંધાઈ
– યુવતી ઘરેથી કોલેજ અને યુવક નોકરીએ જવા નીકળ્યો હતો, પોલીસની શોધખોળ
આણંદ : બોરસદ તાલુકાના ખાનપુર ગામેથી કોલેજ જવા નીકળેલી ૧૯ વર્ષીય યુવતી અને બોરસદ તાલુકાના દેહવાણ ગામનો ૨૭ વર્ષીય યુવક નોકરીએ જવા માટે ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન ફરી લાપતા થયા હતા. જે મામલે પોલીસે જાણવા જોગ નોંધીને વઘુ તપાસ હાથ ધરી છે.
બોરસદ તાલુકાના ખાનપુર ગામના ગાંધી ચોક ખાતે રહેતા અમિતભાઈ નીતિનભાઈ પટેલની દીકરી હીર (ઉં.વ.૧૯) ૧૧મી ડિસેમ્બરના રોજ ઘરેથી કોલેજ જવા નીકળી હતી. ત્યારબાદ હીર ઘરે પરત ન ફરી લાપતા થઈ હતી. પરિવારજનોએ ગામ સહિત મિત્ર વર્તુળમાં તેણીની શોધખોળ કરતા કરાવતા કોઈ પત્તો ન લાગતા આખરે વીરસદ પોલીસ મથકમાં જાણ કરી હતી. ગુમ થવાના અન્ય બનાવમાં બોરસદ તાલુકાના દહેવાણ ગામના ગુલી વિસ્તારમાં રહેતો ૨૭ વર્ષીય દશરથસિંહ રણજીતસિંહ પરમાર ૧૦મી ડિસેમ્બરના રોજ નોકરીએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. નોકરીએ ગયા બાદ તે ઘરે પરત ફર્યોે ન હતો, જેથી પરિવારજનોએ ગામ સહિત સગા સંબંધીમાં તેની શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે વીરસદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે










