![]()
Vadodara : વડોદરા શહેરના રેલવે, રિવર અને ફ્લાય ઓવર બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ 38 બ્રીજોના મેન્ટેનન્સ માટે રૂ.21 કરોડનો અંદાજ તૈયાર થયો છે. ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ સરકારના આદેશ મુજબ શહેરના મહત્વના બ્રીજ પર કલમ 67(3)(સી) હેઠળ તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરાઈ છે.
શહેરમાં આવેલા રેલવે, રિવર તથા ફ્લાય ઓવર બ્રીજોના સેફ્ટી ઓડિટ અંતર્ગત પ્રી અને પોસ્ટ મોન્સુન ઇન્સપેકશન સલાહકાર મારફતે કરાવવામાં આવે છે. આ ઇન્સપેકશન દરમિયાન મળેલા સૂચનોના આધારે કુલ 38 બ્રીજોના જરૂરી સિવિલ મેન્ટેનન્સ માટે રૂ. 21 કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે.
તા. 09 જુલાઈના રોજ મુજપુર ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રીજોના ઉચ્ચ સ્તરીય ઇન્સપેકશન કરી જરૂરી બ્રીજોની તાત્કાલિક મરામત કરવા સૂચના આપવામાં આવી હતી.
જેના ભાગરૂપે શહેરના મુખ્ય જૂના આરાધના, કાસમઆલા, મુંજમહુડા, વડસર લેન્ડફીલ, બાલભવન રિવર ઓવર બ્રીજ તેમજ પ્રતાપનગર અને શાસ્ત્રી રેલવે ઓવર બ્રીજ પર કલમ 67(3)(સી) હેઠળ તાત્કાલિક સ્ટ્રક્ચરલ રીસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વિશ્વામિત્રી નદી ઉપર સતત પાણીના વહન વચ્ચે તેમજ જળચર પ્રાણીઓની સલામતી જાળવી આ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થળ પરિસ્થિતિ અને ઊંચાઈને ધ્યાનમાં લઈ ભાવમાં ફેરફાર બાદ અંદાજીત રકમથી 17 ટકા વધુ દરે કામગીરી મંજૂર કરવામાં આવી હોવાનું મ્યુ. કોર્પોરેશને જણાવ્યું છે.










