![]()
મુંબઈ : હાલમાં જ સેકન્ડરી બજારમાં લિસ્ટેડ થયેલી ૧૦૮ જેટલી કંપનીના અંદાજે ૨૪ અબજ ડોલરના (અંદાજે ૨૨૦૦ અબજ રૂપિયા) મૂલ્ય સાથેના શેરો ૧૮ ડિસેમ્બરથી ૩૦મી માર્ચ, ૨૦૨૬ના ગાળામાં વેપાર માટે અનલોક થઈ રહ્યા છે જેને પરિણામે સેકન્ડરી બજારમાં વોલેટિલિટી જોવા મળવાની સંભાવના છે.
એનકર રોકાણકારોના ેલોક-ઈન સમયગાળો સમાપ્ત થવા સાથે આ શેરો છૂટા થઈ રહ્યા છે. જે કંપનીઓના શેરો છૂટા થઈ રહ્યા છે તેમાંની મોટાભાગની કંપનીઓનું લિસ્ટિંગ વર્તમાન વર્ષમાં જ થયું છે.
એન્કર રોકાણકારોમાં મોટાભાગે મ્યુચ્યુઅલ ફન્ડસ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો તથા વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. લોક ઈન પીરિયડસ સામાન્ય રીતે શેર્સના લિસ્ટિંગ પછીના ૩૦,૯૦ અથવા ૧૮૦ દિવસના હોય છે.
લોક ઈન સમયગાળો સમાપ્ત થઈ ગયા પછી આ સંસ્થાકીય રોકાણકારો તેમના હોલ્ડિંગ્સનું ખુલ્લા બજારમાં વેચાણ કરી શકે છે. જે કંપનીના સ્ટોકસના લોક ઈન સમયગાળા સમાપ્ત થઈ રહ્યા છે તેમાં ફુજીયામા, કેપિલેરી ટેકનો, એકસેલસોફટ ટેક, મીશુ, વિદ્યા વાયર્સ, નેફ્રોકેર વગેરેનો સમાવેશ થાય છે.
જે શેરોનો લોક ઈન પીરિયડસ સમાપ્ત થઈ રહ્યા છે તેમાંના દરેક શેર ખુલ્લા બજારમાં વેચવા આવશે તે જરૂરી નથી. કારણ કે આમાંના નોંધપાત્ર શેર્સનું હોલ્ડિંગ પ્રમોટરો પાસે પણ હોય છે.
વર્તમાન વર્ષમાં સેકન્ડરી માર્કેટની સાથોસાથ દેશની પ્રાઈમરી માર્કેટ પણ હાલમાં ધમધમી રહી છે અને વર્તમાન કેલેન્ડર વર્ષમાં જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી રકમનો આંક રૂપિયા ૧.૭૦ ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. મેઈનબોર્ડ કંપનીઓના આઈપીઓની સંખ્યા ૧૮ વર્ષના ગાળા બાદ પહેલી વખત ૧૦૦ને પાર કરી ગઈ છે.
વર્તમાન વર્ષના જૂનથી દર મહિને સરેરાશ આઠ જેટલા જાહેર ભરણાં આવ્યા છે. એકલા સપ્ટેમ્બરમાં ૨૫ જેટલા ભરણાં ખૂલ્યા હતા જે ૧૯૯૭ બાદ મહિનાના ધારણે સૌથી વધુ હતા. આ હકીકતને ધ્યાનમાં રાખતા અનલોક થઈ રહેલા શેરોની સંખ્યા પણ ઊંચી જોવા મળી રહી છે. વર્તમાન વર્ષમાં આવેલા જાહેર ભરણાંમાંથી ૬૫ ટકા ભરણાંમાં રોકાણકારોને લિસ્ટિંગ નફો પ્રાપ્ત થયો છે.










