![]()
– પ્રાથમિક સુવિધાના અભાવે રહિશો ત્રાહિમામ
– વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો, સ્થાનિકો દ્વારા મીઠા પાણી માટે સત્યાગ્રહની ચિમકી અપાઈ
પાલીતાણા : પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામનો ખોડિયાર નગર વિસ્તાર આજે પણ પાયાની જરૂરિયાત સમાન પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે. આ વિસ્તારમાં વસતા નાગરિકો અને ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ લાંબા સમયથી મીઠુ પાણી (શુદ્ધ પાણી) ઝંખી રહ્યા છે.
મોટી પાણીયાળીમાંં ખોડિયાર નગર પ્રાથમિક શાળા, કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. જેમાં સેંકડો વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને નિવાસ કરે છે. રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીં પીવાલાયક પાણીની યોગ્ય વ્યવસ્થા નથી. પીવાલાયક શુદ્ધ પાણીના અભાવે આ વિસ્તારના નાના બાળકો અને વિદ્યાર્થીઓમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ક્ષારયુક્ત પાણીને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખોડિયારનગરમાં સત્વરે પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન નાખવામાં આવે તેવી ગામના સરપંચ,સ્થાનિક રહીશો અને શાળા સંચાલકોમાં માંગ ઉઠવા પામેલ છે. અત્રે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી આ શિરદર્દ સમાન સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે ઈચ્છનીય છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો અને વિદ્યાર્થીઓના હિતમાં મીઠા પાણીનો સત્યાગ્રહ કરવાની ફરજ પડશે.










