Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે એક મહત્ત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. કાંદિવલી અને બોરીવલી સેક્શન વચ્ચે છઠ્ઠી રેલવે લાઇનના નિર્માણ કાર્યને વેગ આપવા માટે રેલવેએ 20 ડિસેમ્બર, 2025થી 30 દિવસનો લાંબો ટ્રાફિક બ્લોક લેવાનો નિર્ણય કર્યો છે. આ બ્લોકને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ અને લાંબા અંતરની ટ્રેનોના સમયપત્રક પર મોટી અસર પડશે.

આ પણ વાંચોઃ સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો
ટ્રેન સેવાઓ પર શું અસર થશે?
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક વર્ક ઓર્ડર મુજબ, આ 30 દિવસના બ્લોક સમયગાળા દરમિયાન, અનેક સબર્બન (લોકલ) અને લાંબા અંતરની ટ્રેનોને તેમના નિર્ધારિત સ્ટેશન પહેલાં જ ટૂંકાવી દેવામાં આવશે અથવા નિર્ધારિત સ્ટેશનને બદલે અન્ય સ્ટેશનથી ઉપાડવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેન સેવાઓને નિયંત્રિત (regulated), રિશિડ્યુલ અથવા સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૂપે, કેટલીક પસંદગીની ટ્રેનો બોરીવલી સ્ટેશન પર તેમનો શીડ્યુલ હોલ્ટ સ્કીપ કરશે, એટલે કે આ ટ્રેનો બોરીવલી સ્ટેશને ઊભી નહીં રહે.

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા
મુસાફરોની અગવડતા ઓછી કરવા માટે પણ રેલવે દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જે ટ્રેનો બોરીવલી સ્ટેશન પર ઊભી રહેવાની નથી, તેવી કેટલીક ચોક્કસ ટ્રેન સેવાઓ માટે બોરીવલીના વિકલ્પ તરીકે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોતઃ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ

વિગતવાર યાદી જાહેર
પશ્ચિમ રેલવેએ આ ફેરફારો અંગેની વિગતવાર ઓપરેશનલ વ્યવસ્થાઓ વિવિધ પરિશિષ્ટો (Annexures) દ્વારા જાહેર કરી છે. જેમાં રદ થયેલી, શોર્ટ-ટર્મિનેટ થયેલી ટ્રેનોની યાદી, રિશિડ્યુલ થયેલી ટ્રેનોની વિગતો, નિયંત્રિત (Regulated) થનારી સેવાઓની માહિતી તેમજ, બોરીવલી હોલ્ટ સ્કીપ કરનારી અને વસઈ રોડ/અંધેરી ખાતે વધારાના સ્ટોપ મેળવનારી ટ્રેનોની સ્પષ્ટતા કરવામાં આવી છે.

મુસાફરોને સલાહ
રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, આ બ્લોક સમયગાળા દરમિયાન કોઈપણ અસુવિધાથી બચવા માટે, તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનનું સમયપત્રક અગાઉથી તપાસી લે અને સત્તાવાર રેલવેની જાહેરાતો દ્વારા સતત અપડેટ રહે.












