![]()
Jamnagar Bar Association : જામનગર વકીલ મંડળના વર્ષ 2026 ના હોદ્દેદારો માટેની ગઈકાલે તારીખ 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે ભરતભાઈ સુવા સતત 12મી વખત વિજેતા બન્યા છે જેઓને 598 મત મળ્યા છે. જ્યારે તેઓના પ્રતિસ્પર્ધી ભરતસિંહ જાડેજાને 376 મત મળતાં ભરતભાઈ સુવાનો 222 મતની લીડથી વિજય થયો છે. જેઓને વકીલ મંડળના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. કુલ 985 મત પડ્યા હતા.
આ ઉપરાંત ઉપપ્રમુખ પદે રુચિર રાવલ, સેક્રેટરી પદે મનોજ ઝવેરી અને જોઈન્ટ સેક્રેટરી પદે દિપક ગચ્છર તથા ત્રણ મહિલા સભ્યો ગીતાબેન પારગી, દિપાલીબેન મંગે અને માનસીબેન જાટીયાની બીનહરીફ વરણી થઈ ગઈ હતી. જ્યારે લાઇબ્રેરી મંત્રી પદ માટે જયદેવસિંહ જાડેજા અને હર્ષભાઈ પારેખ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયદેવસિંહ જાડેજાને 533 મત મળ્યા હતા, અને હર્ષભાઈ પારેખને 367 મત મળતાં જયદેવસિંહ જાડેજાનો વિજય થયો છે. અન્ય કારોબારી સભ્યોમાં રાહુલભાઈ ચૌહાણ, મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, પંકજભાઈ લહેરૂ, વનરાજભાઈ મકવાણા, અમિતભાઈ પરમાર, ભાવેશભાઈ સોનગ્રા, જયેશભાઈ સુરડીયા અને ઓડિયાભાઈ વાઘેલા વિજેતા બન્યા છે. ચૂંટણી કમિશનર તરીકે કિશોરભાઈ ચૌહાણ તેમજ આસી. ચૂંટણી કમિશનર તરીકે ભરત ગોસાઈ અને મિહિર નંદાએ સેવા આપી હતી.










