![]()
Ahmedabad News: મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (સર)માં પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી થયા બાદ અને ફોર્મનું ડિજિટલાઈઝેશન તેમજ સ્ક્રુટિની પ્રક્રિયા પુરી થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર કરી દેવામા આવી છે. જે મતદારોના નામ કમી થયા છે કે અન્ય કોઈ પણ પ્રકારનો વાંધો છે અથવા જેઓનું મેપિંગ ન થતા નોટિસ ઈસ્યુ થવાની છે તેની રજૂઆત અને અપીલ માટેની હવે સુનાવણી પ્રક્રિયા શરૂ થનાર છે.જે માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા બેઠકોના મતવિસ્તારો માટે કોલેજોના અઘ્યાપકો-આચાર્ય તેમજ વિવિધ વિભાગના વહિવટી અધિકારી સહિતના વર્ગ-2ના 700થી વધુ અધિકારીને અપીલ સુનાવણી કરવાના ઓર્ડર કરાયા છે.
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમમાં અગાઉ 1 મહિનાથી વધુ સમય માટે સ્કૂલોના હજારો શિક્ષકોએ બીએલઓની કામગીરી કર્યા બાદ અને સ્કૂલોના શિક્ષણને અસર થયા બાદ હવે કોલેજોના અઘ્યાપકો મતદાર યાદી સામેના વાંધાઓની અરજીઓ-અપીલોની સુનાવણી માટેની કામગીરીમાં જોડાશે.ડ્રાફટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે નામ કમી થવા મુદ્દે કે અન્ય કોઈ પણ પ્રકારના વાંધા માટે મતદાર પુરાવા સાથે અપીલ કરી શકશે.
આ પણ વાંચો: ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર
નામ ઉમેરવુ કે સુધારવુ સહિતની પણ પ્રક્રિયા હવે શરૂ થશે અને જે સાથે આગળના તબક્કામાં હવે બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને નોટિસ આપવાની કામગીરી પણ કરવામા આવશે.ત્યારબાદ આગામી થોડા દિવસમાં દરેક વિધાનસા મતવિસ્તાર દ્વારા નક્કી કરાયેલા સ્થળોએ એઈઆરઓ અપીલની સુનાવણી કરશે.મહત્ત્વનું છે કે અનેક અઘ્યાપકોને એઈઆરઓમાં ઓર્ડર થતા કોલેજોના આચાર્યો પરેશાન થઈ ગયા છે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની 21 બેઠોક માટે 737 જેટલા એઈઆરઓના ઓર્ડર કર્યા છે.હાલ રાજ્યમાં 182 વિધાનસભામાં 182 ઈઆરઓ હેઠળ 855 એઈઆરઓ છે પરંતુ હવે સુનાવણી માટે વધુ એઈઆરઓની જરૂર પડતી હોવાથી જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાજ્યના ચૂંટણી પ્રભાગને સર અંતર્ગત વધારાના મતદનશી મતદાર નોંધણી અધિકારી માટેની દરખાસ્ત મોકલાઈ હતી.જેમાં દરેક બેઠક દીઠ વધારાના 10થી લઈને 80 એઈઆરઓ નિમવામા આવ્યા છે.કુલ મળીને 21 વિધાનસભાના મતવિસ્તારો માટે 737 એઈઆરઓ નિમાયા છે.
જેમાં આર્ટસ,સાયન્સ તેમજ કોમર્સની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અઘ્યાપકો,ડિગ્રી ઈજનેરી તેમજ ડિપ્લોમા ઈજનેરી કોલેજો(પોલીટેકનિક)અઘ્યાપકો-લેકચરર, આઈટીઆઈના આચાર્ય તેમજ ઈન્સ્ટ્રકટર, શિક્ષણ તાલીમ ભવનના કર્મચારીઓ,નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોના અધિકારીઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયરો, આસિ.એન્જિનિયરો, ડેપ્યુટી મામતદારો, આસિસ્ટન્ટ ઈન્સપેકટરો, સીનિયર કલાર્ક, હેડકલાર્ક, વિવિધ કચેરીના આસિ.ડાયરેકટરો, કોર્પોરેશનના ટીડીઓ ખાતાના ઈન્સપેકટરો તથા વિવિધ વહવિટી અધિકારીઓ સહિત વર્ગ-2 અને વર્ગ-3ના 700થી વધુ અધિકારીઓને-કર્મચારીઓને કામગીરી સોંપાઈ છે. મહત્ત્વનું છે કોલેજો-આઈટીઆઈના 250થી વધુ અઘ્યાપકો-આચાર્યોને કામગીરી અપાઈ છે ત્યારે હવે નવુ સત્ર કોલેજોમાં શરૂ થનાર હોઈ તેમજ સેમેસ્ટર પરીક્ષાઓ આવવાની હોય ઘણી કોલેજોમાં તો અનેક ટીચિંગ સ્ટાફને ઓર્ડર થતા ઉચ્ચ શિક્ષણને મોટી અસર પડશે.










