![]()
– ગ્રામજનોમાં ભયનો માહોલ
– ભેંસનું દૂધ પીતા પરિવારના સાત સભ્યોને પણ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના રાજપરમાં હડકાયા શ્વાને ભેંસ અને પાડીને બચકાં ભરતા મોત નિપજ્યાં છે. જ્યારે મૃત્યું પામેલી ભેંસનું દૂધ પીતા પરિવારના સાત સભ્યોને પણ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.
રાજ્યમાં ઠેર ઠેર રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે જેમા રખડતા શ્વાન શેરી ગલીઓમાં રમતા બાળકો અને રાહદારીઓને ફાડી ખાવાની ઘટના દરરોજ પ્રકાશમાં આવી રહી છે. તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે વિચિત્ર ઘટના સામે આવી હતી. રાજપર ગામે હડકાયુ શ્વાન ભેંસ અને તેના બચ્ચાને કરડયું હતું. જેથી ટૂંક સમયમાં જ બચ્ચું મોતને ભેટયું હતું પરંતુ થોડા દિવસ સુધી ભેંસની સામાન્ય સ્થિતિ હોવાથી તેનું દૂધ પરિવારે ભોજનમાં લીધું હતું. ત્યારબાદ અચાનક ભેંસને પણ હડકવા ઉપડતા ગત શનિવારે ભેંસનું પણ મોત નિપજ્યું હતું. આથી ભેંસનું દૂધ પીતા પરિવારના ૦૭ સભ્યોને સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે પરિવારના સભ્યોને હાલ હડકવાના ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરવામાં આવી છે. પરંતુ આ પ્રકારની ઘટનાને લઈ હડકાયા શ્વાનથી ગામમાં ફફડાટ ફેલાયો છે.










