![]()
Kankaria Carnival 2025: અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-2025 આગામી 25થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે યોજાશે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટતા સહેલાણીઓ માટે આ વર્ષે અનેક નવતર આકર્ષણો અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે ક્રાઉડ મેનેજમેન્ટ માટે સૌપ્રથમવાર અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું
આ શો રહેશે આકર્ષણનું કેન્દ્ર
નવીનતમ આકર્ષણો અને રંગારંગ કાર્યક્રમો સાથે વર્ષે કાંકરિયા કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને ખાસ દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) મુખ્ય આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત, કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી જેવા ખ્યાતનામ ગુજરાતી કલાકારોના મ્યુઝિકલ પરફોર્મન્સ પણ યોજાશે. સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમામ લોકોને ફ્રી એન્ટ્રી મળશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડની મજા
AMC દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અન્ય રાજ્યોના પણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડની મજા લોકો માણી શકશે. અન્ય રાજ્યોના જાણીતા ફૂડ માટેના સ્ટોલ પણ અલગ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં બ્રિજ બનતા પહેલા જ સ્લેબ બેસી ગયો, 150 ફૂટ રિંગ રોડ પર સદનસીબે જાનહાનિ ટળી
80 હજારથી 1 લાખ સુધીની કેપેસિટી
સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ ભીડને નિયંત્રિત કરવા અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયાના સાતેય એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા દ્વારા કેટલા લોકોએ પ્રવેશ કર્યો અને કેટલા લોકો હાજર છે તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. જો ભીડ 80 હજારથી 1 લાખની આસપાસ પહોંચશે તો તાત્કાલિક ગેટ બંધ કરી દેવામાં આવશે. આ માટે 34 જેટલા CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.
5 હજાર કરોડનો વીમો
નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ માટે રૂ. 5 હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે, જેના માટે રૂ. 3.91 લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે. જોકે, વીમા કંપનીની ‘ટિકિટ સાથે પ્રવેશ’ની શરતને લઈને વિવાદ સર્જાયો હતો, કારણ કે કાર્નિવલમાં પ્રવેશ નિઃશુલ્ક છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા કરી છે કે આ શરત દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને કંપની સાથે ચર્ચા કરવામાં આવશે.










