![]()
– કલેક્ટરના નિવાસ સ્થાને 100 થી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવી
– નાયબ મામલતદારના ઘરેથી અપ્રમાણસર રોકડ રૂ. 67.50 લાખ અને ફાઈલો મળી આવ્યા : ધરપકડ કરી અમદાવાદની કોર્ટમાં રજૂ કરાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાંધીનગર ઈ.ડી.ની અલગ અલગ આઠથી વધુ ટીમો દ્વારા મંગળવારે વહેલી સવારથી દરોડા પાડયા હતા. બે દિવસ સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ ઈ.ડી.ની ટીમ દ્વારા આ મામલે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પી.એ. જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાવી છે. ઇડીની આ કાર્યવાહીઓ સતત બે દિવસથી ચાલી રહી છે પરંતુ આ એજન્સીએ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જ વિગતો જાહેર કરી ન હોય, અધિકારી વર્ગમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
ઈ.ડી.ની અલગ અલગ ૦૮થી વધુ ટીમો દ્વારા મંગળવારે સવારે જિલ્લા ક્લેક્ટર કચેરી પાછળ આવેલા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસ સ્થાન સહિત વઢવાણ ખાતે રહેતા અને જિલ્લા કલેકટર કચેરીમાં જમીન સંપાદન વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ, રતનપર સોમનાથ ચોકમાં રહેતા વકીલ ચેતન કણઝરીયા અને લખતર રહેતા કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા સહિત અન્ય સ્થળો પર ગાંધીનગર ઈ.ડી.ની ટીમો દ્વારા ૨૨થી ૨૫ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં વઢવાણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે સર્ચ ઓપરેશન બાદ રોકડ રૂ.૬૭.૫૦ લાખ અને અમુક ફાઈલો કબજે કરી બુધવારે વહેલી સવારે ઘરપકડ કરી અમદાવાદ વિશેષ કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસ સ્થાનેથી પણ ૨૦ કલાકના સર્ચ ઓપરેશન બાદ અંદાજે ૧૦૦થી વધુ મહત્વની ફાઇલો કબજે કરી હતી.
આ ઉપરાંત લખતર ખાતે રહેતા અને જિલ્લા કલેકટરના પી.એ. જયરાજસિંહ ઝાલાના નિવાસ સ્થાને બુધવારે સાંજ સુધી ઈ.ડી.ની ટીમો સાડા છ વાગ્યે સર્ચ ઓપરેશન પુરુ કર્યું હતું. સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ઈ.ડી.ના અધિકારી દ્વારા કલેક્ટર સહિત ૦૪ સામે ફરિયાદ નોંધાવી છે. કલેક્ટર ડો. રાજેન્દ્ર એમ.પટેલ આ અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર હતાં. ગચ ફેબુ્રઆરી મહિનામાં કલેક્ટર તરીકે અહીં સુરેન્દ્રનગરમાં તેમનું પ્રથમ વખત પોસ્ટિંગ થયું છે.
કોની સામે ફરિયાદ નોંધાઇ
(૧) ડો.રાજેન્દ્રકુમાર પટેલ – જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર
(૨) ચંદ્રસિંહ મોરી – નાયબ મામલતદાર, સુરેન્દ્રનગર
(૩) જયરાજસિંહ ઝાલા – પી.એ., જિલ્લા કલેક્ટર
(૪) મયુરસિંહ ગોહિલ – ક્લાર્ક, ક્લેક્ટર કચેરી
નાયબ મામલતદાર વિરૂદ્ધ ખંડણીની રજૂઆત થઇ હતીઃ કલેક્ટર
આ મામલે જિલ્લા ક્લેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલનો સંપર્ક કરતા મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યોે હતો પરંતુ સમગ્ર મામલે મૌખિક જાણકારી આપી હતી કે અગાઉ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે જમીન બાબતે ખંડણીની રજૂઆત મળી હતી અને જે રજૂઆત બાદ તેમના દ્વારા જમીન સંપાદનને લગતા નાયબ મામલતદાર સહિતના સ્ટાફની અન્ય વિભાગોમાં બદલી કરવામાં આવતા ઈ.ડી. રેઇડ કરવામાં આવી હોઈ શકે તેમ જણાવ્યું હતું.
પીએમ કાર્યાલયમાં રજૂઆત બાદ ઈ.ડી.એ દરોડા પાડયાનું અનુમાન
સુરેન્દ્રનગર જિલ્લામાં સોલાર કંપનીઓ મોટાં પ્રોજેક્ટ ધરાવે છે. અને, સ્વાભાવિક રીતે જ આ તમામ પ્રોજેક્ટ માટે જિલ્લાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં મોટાં સ્તર પર જમીન સંપાદન પ્રક્રિયાઓ થઈ છે. દસાડા, લખતર અને ચોટીલા તાલુકાના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદન સહિત જમીનને લગતા કૌભાંડ અંગે અરજદાર દ્વારા સ્થાનિક કક્ષાએ ઉકેલ નહીં આવતા પીએમઓ કાર્યાલય સહિત ઉચ્ચ કક્ષા તેમજ તકેદારી સમિતિ સમક્ષ રજૂઆતો કરી હતી અને તેના ભાગરૂપે ઈ.ડી.ની ટીમો દ્વારા દરોડા અને ચેકિંગ હાથ ધર્યું હોવાનું મનાઇ રહ્યું છે.
જિલ્લા કલેક્ટરની વહિવટી શાખામાં બદલી
ઇડીના દરોડા બાદ જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલની વહિવટી વિભાગની રાતોરાત બદલી કરવામાં આવી છે. હાલ પુરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કે.એ.યાજ્ઞિાનિકને કલેક્ટરનો ચાર્જ સોંપાયો છે.










