![]()
PM Modi Lucknow News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(25 ડિસેમ્બર) ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાને અટલ બિહારી બાજપેયીની 101મી જન્મજયંતી પર રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, ‘અમારી સરકારે 370ની દીવાલ તોડી પાડી…’
પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કરતાં કહ્યું કે, ‘તેમણે દેશને નિર્ણાયક દિશા આપી. ડૉ. મુખર્જીએ “બે કાયદા, બે ધ્વજ અને બે વડા”ની વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી, જે સ્વતંત્રતા પછી પણ જમ્મુ અને કાશ્મીરમાં અમલમાં હતી અને ભારતની અખંડિતતા માટે એક મોટો પડકાર રહી હતી.’
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘ગર્વની વાત છે કે અમારી સરકારને અનુચ્છેદ 370ની દીવાલ તોડી પાડવાનો અવસર મળ્યો અને આજે ભારતનું બંધારણ જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણરીતે લાગુ પડે છે.’ મેડ ઇન ઇન્ડિયાને લઈને તેમણે કહ્યું કે, ‘આજે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો વિશ્વભરમાં પહોંચી રહ્યા છે.’
જ્યારે ઉત્તર પ્રદેશમાં બની રહેલા મુખ્ય સંરક્ષણ કોરિડોરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘દેશની સંરક્ષણ ક્ષમતાઓ મજબૂત થઈ રહી છે.’
ઓપરેશન સિંદૂર વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રમ્હોસ મિસાઈલની તાકાત જોવા મળી, તેનું નિર્માણ લખનઉમાં થઈ રહ્યું છે. જેને ભારતની ટેકનિક અને ઔદ્યોગિક ક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે.’
આ પણ વાંચો: ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ
પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસનની ઉજવણીને પણ યાદ કરવામાં આવી રહી છે. લાંબા સમયથી ફક્ત ગરીબી હટાઓ જેવા નારાઓને જ શાસન માનવામાં આવતું હતું, પરંતુ અટલજીએ જમીન પર સુશાસનનું પ્રદર્શન કર્યું. વર્ષ 2014 પહેલા આશરે 25 કરોડ લોકો સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ હતા, જ્યારે આજે લગભગ 95 કરોડ ભારતીયો આ સુરક્ષા કવચ સાથે જોડાયેલા છે.’










