![]()
મુંબઈ : ગ્વાટેમાલામાં એલચીનો પાક નિષ્ફળ રહેતા ભારતના એલચીના નિકાસકારો માટે સ્થિતિ સાનુકૂળ બની છે અને એલચીની ખાસ કરીને અખાતના બજારોમાં વધુ નિકાસ કરી શકશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
વર્તમાન વર્ષમાં ભારતના નિકાસકારો ૧૨૦૦૦થી ૧૩૫૦૦ ટન જેટલી વિક્રમી એલચીની નિકાસ કરશે તેવી શકયતા હોવાનું ઉદ્યોગના વર્તુળોએ જણાવ્યું હતું.
સામાન્ય રીતે ગ્વાટેમાલામાં વર્ષે ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ ટન એલચી ઉત્પન્ન થતી હોય છે પરંતુ વર્તમાન વર્ષમાં ૧૭૦૦૦ ટન આસપાસ જ જોવા મળશે.
ગયા વર્ષે દૂકાળની સ્થિતિને પરિણામે રિપ્લાન્ટિંગ થઈ નહીં શકતા આવતા વર્ષનું ઉત્પાદન ૨૨૦૦૦ ટન આસપાસ રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
દરમિયાન દેશમાં એલચીના ઓકશન સમયે ૩૦૦૦૦ ટન આસપાસ આવક થવાની ધારણાં છે. એલચીનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૃપિયા ૨૫૨૦ આસપાસ બોલાઈ રહ્યો છે. ગ્વાટેમાલામાં પાક નિષ્ફળ રહેતા એલચીના વૈશ્વિક સ્તરના માગ-પૂરવઠાના ગણિત બદલાઈ ગયા છે જેને પરિણામે ભારતને વિશ્વ બજારમાં પોતાની હાજરી વધારવાની તક મળી રહેશે એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.










