![]()
– નોન ઈન્ટરલોકિંગ કાર્યના કારણે ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર
– વેરાવળ-ગાંધીનગર-વેરાવળ ટ્રેનને પણ અસર, કેટલાક સ્ટેશનો પર હોલ્ટ નહીં કરે
ભાવનગર : નોન ઈન્ટરલોકિંગ કાર્યના કારણે આવતીકાલથી બે દિવસ પાંચ ટ્રેનના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવશે.
અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા, આંબલી રોડ, ગોરાઘુમા, સાણંદ સ્ટેશન વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીનું કમિશનિંગ કાર્ય કરવાનું હોવાથી તા.૨૭-૧૨ અને તા.૨૮-૧૨ના રોજ ગાંધીનગર-વેરાવળ અને વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન બન્ને દિશામાં ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર (જં) વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ ટ્રેનો બન્ને દિશામાં સુરેન્દ્રનગર (જં.)-વેરાવળ વચ્ચે જ સંચાલિત થશે. તેવી જ રીતે આવતીકાલ તા.૨૭-૧૨ની ગાંધીનગર કેપિટલ-વેરાવળ ટ્રેન ગાંધીનગરથી કલોલ, કટોસન રોડ, વિરમગામ રૂટ પર દોડશે. ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે નહી.
તેમજ તા.૨૭-૧૨ને શનિવારની ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન બોટાદ-વિરમગામ-અમદાવાદના બદલે બોટાદ-ગાંધીગ્રામ-સાબરમતી બી.જી. મારફતે ચાલશે. આ ટ્રેન રાણપુર, લિંબડી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર હોલ્ટ નહીં કરે. ૨૭મી ડિસેમ્બરની મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પણ બોટાદ-વિરમગામ-અમદાવાદના બદલે બોટાદ-ગાંધીગ્રામ-સાબરમતી બી.જી.ના પરિવર્તિત માર્ગથી ચાલશે. આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર રોકાશે નહીં તેમ ભાવનગર મંડળના વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.










